News of Thursday, 28th March 2024
માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મૃત્યુ: વેન્ટિલેટર ઉપર રાખવામાં આવેલ: બાંદા જેલમાં તેની તબિયત બગડી હતી: હોસ્પિટલ બહાર લોકોના ટોળા: પરિવારજનોએ ધીમું ઝેર અપાયાનો આક્ષેપ કરેલ: અડધું ડઝન જિલ્લાઓમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો
નવી દિલ્હીઃ યુપીના માફિયા ડોન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. જેલમાં તેમની તબિયત બગડતાં તેમને દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા. અહીં તેનું સારવાર દરમિયાન રાત્રે ૮.૨૫ વાગ્યે મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ડોન મુખ્તાર અંસારી અચાનક બેભાન થઈ ગયો હતો. મંગળવારની સરખામણીમાં આજે ડોન અન્સારીની હાલત વધુ ખરાબ હતી.
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આજે ગુરુવારે એમપી-એમએલએ કોર્ટ નંબર ૪માં ગેંગસ્ટર મુખ્તાર અંસારી "એમ્બ્યુલન્સ કેસ"માં હાજર થઈ રહ્યો હતો. મુખ્તાર અંસારીના વકીલે મુખ્તાર વતી કોર્ટમાં અરજી રજૂ કરી હતી. જેમાં લખ્યું હતું કે "સાહેબ, ૧૯મી માર્ચની રાત્રે મારા ખાવામાં ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હતો. જેના કારણે મારી તબિયત બગડી છે. મને લાગે છે કે હું કોમામાં જઈ રહ્યો છું અને હું ખૂબ જ નર્વસ અનુભવું છું. આ પહેલા મારી તબિયત બિલકુલ ઠીક હતી. કૃપા કરીને ડોકટરોની એક ટીમ બનાવો અને મારી યોગ્ય સારવાર કરાવો. ૪૦ દિવસ સુધી મને ખોરાકમાં ભેળવેલું ઝેરી પદાર્થ આપવામાં આવ્યું હતું.
બાંદા જેલમાંથી વર્ચ્યુઅલ હાજરી દરમિયાન બાહુબલી મુખ્તાર અંસારી દેખાયો ન હતો. જેલના ડેપ્યુટી જેલર મહેન્દ્રસિંહ હાજર રહ્યા હતા. હાજરી દરમિયાન તેણે પુષ્ટિ કરી કે મુખ્તાર અંસારી બીમાર છે. જેના કારણે તે સુનાવણીમાં હાજર રહી શકતો નથી. કોર્ટે તારીખ ૨૯ માર્ચ નક્કી કરી હતી. મુખ્તારે માંગણી કરી છે કે સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. મેડિકલ બોર્ડની રચના કરીને તપાસ થવી જોઈએ.
દરમિયાન મુખ્તાર અંસારીના મોત બાદ મઉમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એટલું જ નહીં ગાઝીપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યાં ખૂણે-ખૂણે આપ તો બંદોબસ્ત અને નજર રાખવામાં આવી રહી છે. કલેકટર અને પોલીસ વડા પણ બાંદા મેડિકલ પહોંચી ગયા હતા
(11:08 pm IST)