યુપીના માફિયા ડોન ૬૩ વર્ષના મુખ્તાર અંસારીનું હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં અવસાન થયું છે. મુખ્તાર અંસારીને બાંદા મેડિકલ હોસ્પિટલના આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવેલ. ૯ ડોકટરોની ટીમ મોનીટરીંગ કરી રહી હતી. જ્યાં આજે રાત્રે છેલ્લા શ્વાસ લીધા હતા. આ દરમિયાન મૌ, ગાઝીપુર અને બાંદામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાંદા મેડિકલ કોલેજની બહાર મોટી સંખ્યામાં અર્ધ લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે.
મુખ્તાર અંસારીનો ગુનાની દુનિયામાં કેવી રીતે પ્રવેશ થયો ?
મુખ્તાર અંસારી ગાઝીપુરના મોહમ્મદબાદ યુસુફપુરના એક પ્રતિષ્ઠિત પરિવારના હતા. ૧૯૮૮માં મંડી પરિષદના સ્થાનિક કોન્ટ્રાક્ટર સચ્ચિદાનંદ રાયની હત્યાના કેસમાં મુખ્તારનું નામ સૌથી પહેલા સામે આવ્યું હતું.
આ દરમિયાન બનારસમાં ત્રિભુવન સિંહના કોન્સ્ટેબલ ભાઈ રાજેન્દ્ર સિંહની હત્યા કરવામાં આવી હતી. જેમાં પણ મુખ્તારનું નામ પણ સામે આવ્યું હતું.
૧૯૯૦માં બ્રજેશ સિંહ ગેંગે ગાઝીપુર જિલ્લામાં તમામ સરકારી કોન્ટ્રાક્ટ કબજે કરવાનું શરૂ કર્યું. પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા તેણે મુખ્તાર અંસારીની ગેંગનો સામનો કર્યો.
૧૯૯૧માં મુખ્તાર ચંદૌલીમાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તેના પર રસ્તામાં બે પોલીસકર્મીઓને ગોળી મારીને ફરાર થવાનો આરોપ હતો.
તેના પર ૧૯૯૧માં કોંગ્રેસ નેતા અજય રાયની હત્યાનો પણ આરોપ હતો. જેમાં અંસારી સહિત પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી તેણે બહારથી સરકારી કોન્ટ્રાક્ટ, દારૂના કોન્ટ્રાક્ટ અને કાળા કોલસાનો કારોબાર સંભાળવાનું શરૂ કર્યું.
૧૯૯૬માં એએસપી ઉદય શંકર પર થયેલા જીવલેણ હુમલામાં મુખ્તારનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું હતું.
મુખ્તાર અંસારી પાંચ વખત ધારાસભ્ય બનેલ. ૧૯૯૬માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા અને પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
૧૯૯૭માં પૂર્વાંચલના સૌથી મોટા કોલસાના વેપારી રૂંગટાના અપહરણ બાદ મુખ્તારનું નામ ગુનાની દુનિયામાં ફેમસ થયું હતું.
કહેવાય છે કે ૨૦૦૨માં બ્રજેશ સિંહે મુખ્તાર અંસારીના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં મુખ્તાર અંસારીના ત્રણ લોકો માર્યા ગયા હતા.
ઓક્ટોબર ૨૦૦૫માં માઉમાં હિંસા ફાટી નીકળી હતી. આ પછી તેમના પર ઘણા આરોપો લાગ્યા હતા, જેને ફગાવી દેવામાં આવ્યા હતા.
આ દરમિયાન મુખ્તાર અંસારીએ ગાઝીપુર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
એવું કહેવાય છે કે રાજકીય પ્રભાવની લડાઈમાં મુખ્તારે ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની એકે ૪૭થી હત્યા કરાવી હતી.
૨૦૧૦માં અન્સારી પર રામ સિંહ મૌર્યની હત્યાનો આરોપ હતો. કૃષ્ણાનંદ રાયની હત્યા બાદ મુખ્તાર અંસારીના દુશ્મન બ્રજેશ સિંહ ગાઝીપુર-મૌ વિસ્તારમાંથી ભાગી ગયો હતો.
તેની વર્ષ ૨૦૦૮માં ઓરિસ્સામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૦૮માં અન્સારી પર એક હત્યા કેસના સાક્ષી ધર્મેન્દ્ર સિંહ પર હુમલો કરવાનો આરોપ હતો.
૨૦૧૨માં મહારાષ્ટ્ર સરકારે મુખ્તાર પર મકોકા ધારો લગાડ્યો હતો.
મુખ્તાર સામે હત્યા, અપહરણ, ખંડણી જેવા અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. મુખ્તાર અંસારી વિરુદ્ધ કુલ ૬૦ થી વધુ કેસ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના કેસ ગાઝીપુરના છે.
રાજકારણની દુનિયામાં પણ વર્ચસ્વ રહેલ.
ગુનહાખોરીની દુનિયા સિવાય સિવાય મુખ્તારે રાજનીતિની દુનિયામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.
તેમની સામે ઘણા કેસ દાખલ થયા, પરંતુ તેમ છતાં તેઓ ચૂંટણી જીતતા રહ્યા. મુખ્તાર અંસારી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેણે ૧૫ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો છે. ૧૯૯૬, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭ માં વિધાનસભાની ચૂંટણીઓ જીતી હતી. મુખ્તાર જેલમાં રહીને ત્રણ વિધાનસભા ચૂંટણી જીત્યો હતો. ગુન્હાખોરીના લાંબા કાળનો આજે અંત આવ્યો છે.