News of Thursday, 28th March 2024
રાજકોટ: દાયકાઓ સુધી સંગીતના ચાહકોને રસ તરબોળ કરનાર ડો. કમલેશ આવસત્થીનું દુઃખદ અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા આવતીકાલે સવારે ૯ વાગે અમદાવાદથી તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
સુપ્રસિદ્ધ બોલીવુડ સિંગર મુકેશજીના પર્યાય ગણાતા કમલેશ આવસત્થીએ દાયકાઓ સુધી લોકોને તેમના મધુર કંઠથી રસ તરબોળ કરી દીધા હતા..
ડો. કમલેશ આવસત્થી તે મીનાબેનના પતિ, ભાઈ ભૂષણ તથા ભાઇ તેજસના પિતાશ્રી, સૌ. નીતિ તથા સૌ. વાણીનાં સસરા, ચિ. જેસલના દાદાનું આજરોજ અવસાન થયેલ છે.
દિવંગતની અંતિમ યાત્રા આવતીકાલે તા.૨૯/૩/૨૪ ને શુક્રવારના રોજ સવારે ૯ કલાકે તેમના નિવાસસ્થાન 'સ્વર' , સી-૧૫૧, અશોકનગર સોસાયટી, ગેટ નં. ૪, સુંદરવનની પાછળ, જોધપુર ટેકરા. સેટેલાઈટ, અમદાવાદથી થલતેજ સ્મશાન ગૃહે જવા નીકળશે.
કલા જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ગાયક કમલેશ અવસ્થીનું નિધન થયું છે. વોઈસ ઓફ મુકેશ તરીકે ઓળખાતા અવસ્થીએ અંતિમ શ્વાસ લીધા છે.
મુકેશના અવાજ તરીકે જાણીતા વિખ્યાત ગાયક કમલેશ અવસ્થીનું નિધન થયું છે. તેમણે અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. અવસ્થીના નિધનથી કલા જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે. 'તેરા સાથ હૈ તો..', 'ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ' જેવા ઘણા સુપરહિટ ગીતો કમલેશ અવસ્થીએ ગાયા હતા.
કમલેશ અવસ્થીનો જન્મ 1945માં સાવરકુંડલામાં થયો હતો. ભાવનગર યુનિવર્સિટીમાંથી M.Sc. અને પીએચડીનો અભ્યાસ કર્યો હતો. તેમણે ભાવનગરના સપ્તકલા ખાતે તેમની ગાયકી કારકિર્દીની શરૂઆત કરી હતી. કમલેશ અવસ્થીએ તેનું પહેલું મ્યુઝિક આલ્બમ 'ટ્રિબ્યુટ ટુ મુકેશ' રિલીઝ કર્યું હતું.
હિન્દી ફિલ્મોની સાથે સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો ગાયા બાદ તેઓ લાઈમલાઈટમાં આવ્યા હતા. કમલેશે પીઢ અભિનેતા રાજ કપૂરની છેલ્લી ફિલ્મ 'ગોપીચંદ જાસૂસ'માં પ્લેબેક સિંગિંગ કર્યું હતું. આ સમયે રાજ કપૂરે કહ્યું હતું કે દેશને મુકેશ પાછા માડી ગયા છે, જે બાદ તેઓ વોઈસ ઓફ મુકેશ તરીકે ઓળખાતા હતા. મુકેશ ની જેમ કામલેશે પણ અનેક ગુજરાતી ગીતોને અવાજ આપ્યો છે.