Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

બાબા આમટેના પૌત્રી ડોક્ટર શીતલ આમટેની આત્મહત્યા

ઝેરી ઈન્જેક્શનનો ઉપયોગ કરી જીવન ટૂંકાવ્યું : સોમવારે સવારે તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પરથી 'વોર એન્ડ પીસ' નામની એક પોસ્ટ કર્યા બાદ પગલું ભર્યું

નવી દિલ્હી, તા. ૩૦ : બાબા આમટેની પૌત્રી અને આનંદવનની મહારોગી સેવા સમિતિના સીઈઓ ડો. શીતલ આમટેએ આત્મહત્યા કરી છે. હજી સુધી આપઘાતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ કેટલાક લોકો કહે છે કે પારિવારિક મુદ્દે શીતલ આમટેએ આત્મહત્યા કરી છે. ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ શરૂ કરી છે. વરોરાની ઉપજિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં તબીબોએ શીતલ આમટેને મૃત જાહેર કર્યા હતા. શીતલનું મોત ઝેરી ઇંજેક્શન્સના ઉપયોગથી થયું છે. ડો શીતલ આમટેને જાન્યુઆરી ૨૦૧૬માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 'યંગ ગ્લોબલ લીડર ૨૦૧૬' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણી થોડા દિવસો માટે તાણમાં હતી. થોડા દિવસો પહેલા એક અખબારના જણાવ્યા મુજબ, તેમણે ફેસબુક લાઇવ દ્વારા આનંદવનની રક્તપિત્ત સેવા સમિતિ પર ચાલી રહેલા કામકાજ, ટ્રસ્ટીઓ અને કાર્યકરો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જો કે, બે કલાક પછી તેમને ફેસબુક લાઇવનો વીડિયો ડિલિટ કરી નાખવામાં આવ્યો હતો. ફેસબુક લાઇવ બાદ ઘણી ચર્ચાઓ થઈ હતી અને બાદમાં આમટે પરિવાર વતી નિવેદન જાહેર કરીને આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા. સોમવારે સવારે તેણે તેના ટ્વિટર હેન્ડલ પરથી 'વોર એન્ડ પીસ' નામની એક પોસ્ટ કરી હતી.

(7:50 pm IST)