Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

આરોગ્ય કેન્દ્રોના ૧૫૦ કર્મચારીની વિજળીક હડતાલ

સતત કામગીરી : રજા અપાતી નથી : પગાર નિયમીત અપાતો નથી : ઓછો પગાર અપાય છે : ફાર્માસીસ્ટ, મલ્ટીપર્પસ હેલ્થ વર્કર, નર્સ, લેબ ટેકનીશ્યન સહિતના સ્ટાફની હડતાલથી કામગીરી ખોરવાઇ : મ્યુ. કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરાઇ

રાજકોટ તા. ૧૧ : કોરોના કાળમાં આરોગ્ય કર્મચારીઓ ખરા કોરોના વોરિયર્સ સાબિત થઇ રહ્યા છે ત્યાં મ.ન.પા.ના આરોગ્ય કેન્દ્રમાં ૧૧ મહિનાના કોન્ટ્રાકટ બેઝથી ફરજ બજાવતા ૧૫૦ જેટલા કર્મચારીઓએ આજે પગાર, રજા અને કામગીરીના બોજા સહિતના મુદ્દે વિજળીક હડતાલ પાડી અને મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી.

આ રજૂઆતમાં આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આ કર્મચારીઓ વર્ષોથી ૧૧ મહિનાના કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવે છે છતાં કાયમી કરાયા નથી.

હાલમાં કોવિડ-૧૯ હેઠળની મહત્વની ફિલ્ડ કામગીરી બજાવે છે. સતત ફિલ્ડવર્કમાં સંજીવની રથ, ટેસ્ટીંગ વગેરે કામગીરી બજાવી રહ્યા છીએ એકપણ દિવસની રજા અપાતી નથી. પગાર માત્ર ૮ થી ૮ાા હજાર જેટલો આપે છે તે પણ અનિયમિત અપાય છે. રોટેશન મુજબ ફરજ સોંપાતી નથી.

આ બધી યાતના વચ્ચે પણ નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લેબટેકનીશ્યન વગેરે શારીરિક - માનસિક રીતે મજબૂતાઇ દાખવી જીવના જોખમે કામગીરી કરે છે છતાં ઉકત તમામ મુદ્દાઓની રજૂઆતો ધ્યાને નથી લેવાતી.  આથી આજે આરોગ્ય કેન્દ્રો સંજીવની રથ વગેરેમાં ફરજ બજાવતા ૧૫૦ જેટલા આરોગ્ય કર્મચારીઓએ વિજળીક હડતાલ પાડી અને કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોનમાં ટોળા સ્વરૂપે એકત્રીત થઇ અને મ્યુ. કમિશનરને ઉગ્ર રજૂઆતો કરી હતી. જેના પ્રત્યુત્તરમાં કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે યોગ્ય ન્યાયી કાર્યવાહીની ખાત્રી આપી હતી. દરમિયાન આ વિજળીક હડતાલને કારણે આરોગ્ય કેન્દ્રમાં, સંજીવની રથ વગેરેની કામગીરી આંશિક ઠપ્પ જેવી થઇ ગયેલ.

(તસ્વીર : અશોક બગથરીયા)

(3:23 pm IST)