Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સિવિલ કોવિડ હોસ્પિટલમાં દરરોજ ૪૫૦ દર્દીઓના પ્રાણ બચાવવા અપાય છે ૧.૬૮ કરોડ લિટર પ્રાણવાયુ

રાજકોટમાં જોઇએ તેટલો ઓકિસજન અને દવાઓ પુરી પાડવા સરકારની પ્રતિબધ્ધતા : ૧૧૦૧૦ પ્રવાહી લિટરની ૧ અને ૯૫૦ લિટરની ૬ ટેન્કને સતત ભરી રાખી વેપોરાઇઝર મશીન ૧ લિટર પ્રવાહીમાંથી ૮૬૦ લિટર વાયુ સ્વરૂપમાં ઓકિસઝન બહાર કાઢે છે : દૈનિક ૧૯૭૫૦ પ્રવાહી સ્વરૂપ ઓકિસજનથી સપ્લાય

રાજકોટ તા. ૧૪ : માનવ શરીરને જીવંત રાખવા મહત્વના અંગ ફેફસાકુદરતી વાતાવરણમાંથીસતત પ્રાણવાયુ એવો ઓકિસજન છૂટો પાડીને લોહી (હિમોગ્લોબીન) ને પહોંચાડે છે, પરંતુ કોરોના વાયરસ સંક્રમિત દર્દીના ફેફસાંને નુકસાન થાય છે, અને શરીરમાં ઓકસીજનનું પ્રમાણ ઘટતું જાય છે, તેવા સમયે કૃત્રિમ રીતે દર્દીને જરૂરિયાત મુજબ ઓકિસજન આપવામાં આવે છે.

રાજકોટમાં પીડીયુ હોસ્પિટલ ખાતે કોરોનાનો રાજયનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ દર્દીઓ માટે ઓકિસજનનીવ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓમાં વધારો થતાંરાજય સરકારના પધ્ધતિસરના અદ્યતન સારવારના પૂર્વ આયોજન રૂપેઆરોગ્ય વિભાગ, હોસ્પિટલ અને જિલ્લા વહીવટી તંત્રના સંકલન હેઠળ આ હોસ્પિટલમાં ઓકિસજન સપ્લાય વધારવામાં આવી રહી છે.

રાજકોટ પીડીયુ ખાતે તા. ૧૯ માર્ચથી કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી છે. જેમ જેમ જરૂરિયાત વધતી ગઈ તેમ તેમ હોસ્પિટલમાંસેન્ટ્રલી ઓકિસજન પુરવઠાનીવ્યવસ્થા વધારવામાં આવી રહી છે. હાલ પીડીયુ હોસ્પિટલના તમામ ૫૬૨ બેડ પર ઓકિસજનની વ્યવસ્થા છે. આ માટે હોસ્પિટલના ગ્રાઉન્ડમાં કુલ સાત ટેન્ક ઉભી કરવામાં આવી છે. જેમાં સૌથી મોટી ૧૧,૦૧૦ લીટરની અને બાકીની ૯૫૦ લીટરની ક્ષમતાની છે. પ્રવાહી સ્વરૂપમાં વધારે જથ્થો સંગ્રહિત થાય છે એટલે વેપોરાઇઝન મશીનથી તેને વાયુ (ગેસ) સ્વરૂપમાં પરિવર્તિત કરી દર્દી સુધી પહોંચાડવામાં આવે છે. વેન્ટિલેટર પરના દર્દીને ૨૪ કલાકમાં ૩૬ હજાર અને ઓકિસજનના સાદી જરૂરિયાત વાળાને ૧૦,૦૦૦ લીટર ઓકિસજન વાયુ સ્વરૂપે અપાય છે.

રાજકોટ PDUમાં ૨૦૧૭ થી ઓકિસજન અને સ્ટોર સર્વિસમાં સેવા આપતા અને હાલ કોવિડ હોસ્પિટલના ઓકિસજન સપ્લાય બાબતના નોડલ અધિકારી ડો. જે. કે. નથવાણીએ વિશેષ વિગતો આપતાં જણાવ્યું હતું કે, હાલ છેલ્લા એક અઠવાડિયાથી સરેરાશ ૪૫૦ થી ૪૬૩ દર્દીઓને ઓકિસજનની વત્તા ઓછા પ્રમાણમાં જરૂરિયાત રહે છે. દૈનિક ૧૯.૭૫૦ ટન એટલે કે ૧૯ હજાર ૭૫૦ લીટર પ્રવાહી સ્વરૂપ ઓકિસજનની જરૂરિયાત રહે છે અને બહારથી ટેન્કર મારફત રોજેરોજ ટેન્ક ભરવામાં આવે છે.

એક લિટર પ્રવાહીમાંથી ૮૬૦ કિલો વાયુ સ્વરૂપે ઓકિસજન મેળવી શકાતો હોવાથી દૈનિક સરેરાશ ૧.૬૮કરોડ લીટર (૧ કરોડ ૬૮ લાખ લીટર) જેટલો પ્રાણવાયુ એવો ઓકિસજન વાયુ દર્દી નારાયણની સેવા માટે વાપરવામાં આવે છે. આ દર્શાવે છે કે, રાજય સરકાર કોરોનાના દર્દીઓને બચાવવા સમર્પિત છે.

દર્દીને કુલ ત્રણ પ્રકારે ઓકિસજન આપવામાં આવે છે. ઓકિસજનનું પ્રમાણ પલ્સ ઓકિસમીટરથી માપવામાં આવે છે. આ સુવિધા પણ દરેક બેડ પર ઉપલબ્ધ છે. શરીરમાં એસપી ઓટુનું પ્રમાણ (સંતૃપ્તા) ૯૫ ટકાથી નીચે ઉતરે ત્યારે દર્દીને શ્વાસોશ્વાસમાં તકલીફ જણાતા પ્રથમ સ્ટેજમાં સાદી રીતે માસ્ક સાથે ઓકિસજન આપવામાં આવે છે. વધારે તકલીફ જણાતા તેમને બીજા સ્ટેજમાં બાયપેપ પર મૂકી ઓકિસજનનો ફોર્સ વધારવામાં આવે છે. પછીના તબક્કા વેન્ટિલેટર  મારફતે ઓકિસજન ફોર્સ અને લાઇફ સપોર્ટ સિસ્ટમના છે.

રાજય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓકિસજન સપ્લાયની બાબતમાં પણ સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં કોરોનાની અદ્યતન સારવાર માટે દવાનો પૂરતો જથ્થો અને જોઈએ તેટલો પુરતા પ્રમાણમાં ઓકિસજન ઉપલબ્ધ કરાવીને રાજય સરકારે સંક્રમિત લોકોને પુનઃ નિરોગી જીવન બક્ષવા, મહામારી સામે લોકોની સાવધાની વધારવા તબીબો, કર્મયોગીઓ અને લોકોના સહકારથી જનઆંદોલન છેડયુ છે.

(2:44 pm IST)