Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પ૦ વીઘા ખેતીની જમીન અંગેનો વેચાણ દસ્તાવેજ રદ કરવા અંગેની અપીલને ફગાવી દેતી બોટાદ ડીસ્ટ્રીકટ કોર્ટ

બોટાદ, તા. ૧૭ : પચાસ વીઘા જેટલી ખેતીની જમીનનો કાયદેસર  વેચાણ-દસ્તાવેજ રદ્દ કરવા અંગેની અપીલ બોટાદ ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી.

જમીનોના ભાવ આસમાને પહોંચતા અનેક નિતનવા કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે. એવો જ એક કિસ્સો બોટાદ જિલ્લામાં બનવા પામેલ છે. જિલ્લાના અલમપુર ગામમાં આશરે પચાસ વિદ્યા જેટલી સોનાની લગડી જેવી ખેતીની જમીન, અપીલકર્તા - અરજદાર પક્ષના પૂર્વજ પાસેથી, સામાવાળાના વડવા મર્હુમશ્રી ભગવાનભાઇ દલુભાઇ પ્રજાપતિએ ૧૯૬૮માં સાલમાં કાયદેસર રીતે વેચાણ દસ્તાવેજ કરીને ખરીદ કરી હતી. સને ૨૦૧૨ માં અર્થાત આશરે ૪૪ વર્ષ પછી, પાવર ઓફ એટર્ની હોલ્ડર મારફતે નામદાર સીવીલ કોર્ટ, મહે. નાયબ કલેકટરશ્રી, કલેકટરશ્રી, નામદાર ગુજરાત હાઇકોર્ટ.. વિગેરે કોર્ટસ સમક્ષ વિભિન્ન કેસો દાખલ કરવામા આવેલ હતા.સીવીલ જજ ની કોર્ટ, મિરઝાપુર-અમદાવાદ ખાતે, આ આશરે પચાસ વિદ્યા જમીનનો આજથી ૫૨ વર્ષ પહેલાંનો કાયદેસર રીતે થયેલ વેચાણ-દસ્તાવેજ રદ્દ કરવા માટે દાવો-કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે ચાલવાપાત્ર ન થતાં, પાવર હોલ્ડર ગુજરાત રાજયની વડી અદાલત એવી ગુજરાત હાઇકોર્ટ સુધી, કાનૂની જંગ લડયા હતા. બોટાદ નવો જિલ્લો થતાં, આ દાવા-કેસની હકુમત મિરઝાપુર-અમદાવાદ ખાતેથી  પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ કોર્ટ બોટાદ ખાતે ટ્રાન્સફર થતાં અને ગુજરાત હાઇકોર્ટના ડાયરેકશન મુજબ, ડિસ્ટ્રીકટ કોર્ટ - બોટાદ ખાતે, સદરહું અપીલ-કેસની કાનૂની કાર્યવાહી ચલાવવામા આવી હતી.

આ અપીલ-કેસમાં આશરે ૫૦ વીદ્યા જમીન ખરીદનાર મર્હુમશ્રી ભગવાનભાઇ દલુભાઇ પ્રજાપતિના કાયદેસરના વારસદારો એવા કુલ ૧૩ પ્રતિવાદી અર્થાત સામાવાળા પક્ષના પરિવાજનોએ, ગુજરાત હાઇકોર્ટ - અમદાવાદના એડવોકેટ ડો. ડી. બી. દેસાઇને, પોતાની આજીવિકા અને જીવાદોરી સમાન, આ જમીન-કેસમા મેદાને ઉતારેલ હતા. ડિસ્ટ્રીકટ કોર્ટ - બોટાદ સમક્ષ એડવોકેટ ડો. ડી. બી. દેસાઇએ કેસની કાયદાકીય છણાવટ કરીને, તમામ પુરાવાઓ સાથે વિદ્વતાપૂર્ણ રજૂઆત-સહ-દલીલ કરી હતી કે ૧૯૬૮ માં વેચાણ-દસ્તાવેજ સને ૨૦૧૨ માં અર્થાત આશરે ૪૪ વર્ષ પછી પડકારવો, એ કાયદાની જોગવાઇઓ અને કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂધ્ધ છે. વળી, અમોના અસીલને જમીન વેચનાર હયાત હતા, ત્યાં સુધી આ વેચાણ- દસ્તાવેજ ખોટો છે, એ માટે તેઓશ્રીએ કોઇ જ કાર્યવાહી કરી નથી. હાલના અપીલકર્તાએ અનેકવિધ અસત્યોનો આશરો લઇ, માત્ર પોતાનો સ્વાર્થ સાધવા અને અમોના અસીલને હેરાન-પરેશાન કરીને, માત્ર ખર્ચના ખાડામાં ઉતારી દેવા સદર અપીલ દાવા-કેસ કરેલ છે. વળી, અપીલકર્તા કોઇ કાયદાકીય લોકસ પણ ધરાવતા નથી.

આ માટે એડવોકેટ ડો. ડી. બી. દેસાઇએ પોતાની રજુઆતના સમર્થનમાં, સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ અને વિભિન્ન રાજયોની હાઇકોર્ટસના કુલ ૧૨ જજમેન્ટ્સનો આધાર લઇને ભારપૂર્વક દલીલ કરી હતી. અંતે, જમીન વેચનાર અને ખરીદનાર એમ બન્ને પક્ષકારોની વિગતવાર રજુઆતો ધ્યાને લેતા, નામદાર ડિસ્ટ્રીકટ કોર્ટ - બોટાદ મારફતે જમીન ખરીદનાર પક્ષના એડવોકેટ ડો. ડી. બી. દેસાઇની રજૂઆતો અને દલીલોમાં વજુદ જણાતા, આશરે પચાસ વિદ્યા ખેતીની જમીનના કાયદેસર વેચાણ-દસ્તાવેજને રદ્દ કરવા અંગેની અરજદાર-વાદીનો અપીલ-કેસ રદ્દ કરવા  કોર્ટે હુકમ ફરમાવેલ છે.

(11:53 am IST)