Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વડતાલના યુવાનની કચ્છમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો- ભાવિ પત્નિ પ્રેમી સાથે નાસી છુટતાં તેને શોધવા ગયેલા યુવાનને પ્રેમીના પિતાએ છરી વડે રહેંસી નાખ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૯:  વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં કામ કરતાં અને મૂળ વડોદરાના યુવાન મીત અશોક પટેલની લાશ કચ્છમાં મળી આવી હતી. બે દિવસ પહેલાં મુન્દ્રા તાલુકાના ડેપા ગામની સીમમાં ૨૩ વર્ષીય યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ કેસમાં પોલીસે સીસી ટીવી ફૂટેજ અને મોબાઈલ ફોનના ટેકિનકલ સર્વેલન્સના આધારે હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી લીધી છે. પશ્ચિમ કચ્છ પોલીસના ડીવાયએસપી જે.એન. પંચાલે આપેલી વિગતો અનુસાર મૃતક યુવાન મીત પટેલ પોતાની થનાર ભાવિ પત્ની રેણુકા નાયકા અને તેના પ્રેમી હસમુખ રાઠવાને શોધવા કચ્છ આવ્યો હતો. રેણુકા અને તેનો પ્રેમી હસમુખ બંને સાથે નાસીને કચ્છમાં માંડવીમાં ખેત મજુરી કરતા હસમુખના પિતા શંકર રાઠવાને ત્યાં છુપાયા હોવાની શંકા હોઈ મીત પટેલે વાંરવાર શંકર રાઠવાને ફોન કરીને અંતે બાઈક દ્વારા માંડવી આવ્યો હતો. માંડવી મુન્દ્રાના વાડી વિસ્તારોમાં રેણુકા અને હસમુખને શોધવા શંકર સાથે બાઈક ઉપર ફરી રહેલા મીતે જો રેણુકા અને હસમુખ નહી મળે તો શંકરને વડોદરા ઉઠાવી જવાની ધમકી આપી હતી. ધમકીથી ઉશ્કેરાયેલા શંકરે બાઈક પાછળ બેઠાં બેઠાં મીતના ગળા ઉપર છરી વડે વાર કરી તેની હત્યા નીપજાવી હતી. હત્યા કર્યા બાદ શંકર નાસીને વાડી ઉપર કામે ચડી ગયો હતો. ચકચાર સર્જતી આ હત્યાનો ભેદ આઈજી જે.આર. મોથાલીયા, ડીએસપી સૌરભસીંદ્યના માર્ગદર્શન તળે ડીવાયએસપી જે.એન. પંચાલ, એલસીબી પીઆઈ જે.એન. રાણા અને ટીમે સફળતાપૂર્વક ઉકેલ્યો હતો.

(11:31 am IST)