Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મહુધા તાલુકાના મીનાવાડા ગામે સરાજાહેરમાં એક યુવકની હત્યા કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

ડાકોર : મહુધા તાલુકાના મીનાવાડા ગામે સરાજાહેર એક યુવકની હત્યા કરી દેવાના બનાવથી સનસનાટી મચી છે. કેટલાક અજાણ્યા શખ્સોએ અસ્થિર મગજના એક યુવકની અગમ્ય કારણોસર જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. જાહેરમાં થયેલી હત્યાથી નાસભાગ મચી ગઇ હતી. હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને દશામાંના વ્રત પણ ચાલે છે. ત્યારે મહુધા તાલુકાના મીનાવાડા ગામે આવેલા મંદિરે સેંકડો લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. બુધવારે મંદિરે દર્શન કરવા માટે આવેલા કોઈ અજાણ્યા શખ્સો દ્વારા મીનાવાડા ગામના ૨૦ વર્ષીય અસ્થિર મગજના ભીખાભાઇ ઘનશ્યામ સોઢા નામના યુવાનની ચપ્પુના ઘા કરી હત્યા કરવામાં આવી હતી. આ યુવાનને બચાવવા માટે વચ્ચે પડી છોડાવવા જતા જયદીપ ભરવાડ નામના શખ્સ ઉપર પણ આ અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. મીનાવાડા ગામના યુવાનની હત્યા કર્યા પછી આ અજાણ્યા શખ્સો મીનાવાડા ગામેથી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની મહુધા પોલીસને જાણ થતાં મહુધા પોલીસ, ડી.વાય.એસ.પી તથા તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરવામાં આવી અને  ફરાર આરોપીઓને પકડી પાડવા  ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. બનાવ પછી મૃતકને પરિવારજનો મહુધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ પહોંચ્યા હતા. મૃતકના પરિવારજનોએ ત્યાં પહોંચી ફરજ પરના તબીબ અને મેડિકલ સ્ટાફને રજૂઆત કરી હોવા છતાં આ યુવાનને તપાસવા માટે મોડું કરવામાં આવ્યું હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ અંગે ફરજ પરના તબીબે કોઇ પણ પ્રતિક્રિયા આપી નહોતી.

(5:53 pm IST)