Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

અંકલેશ્વરમાં ટ્રાવેલર્સ ઉપર અજાણ્યા લોકોએ કર્યું ફાયરિંગ

જૂની અદાવતમાં જીવલેણ હુમલો કરાયો : માથામાં કાનના ભાગે ગોળી વાગતા ટ્રાવેલર્સ ત્યાં જ ઢળી પડ્યા : સરદાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરાયા

ભરૃચ, તા.૪ : ભરૃચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રેલવે ગોદી રોડ નજીક બુધવારે મધરાતે જયુપીટર ઉપર ઘરે જતા ટ્રાવેલર્સ ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે.

અંકલેશ્વરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઇદ વાડીવાલા ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓ બુધવારે રાતે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં ઘરે જયુપીટર ઉપર પરત આવી રહ્યા હતા. દરમિયાન અલનુર કોમ્પ્લેક્ષ નજીક ટ્રાવેલર્સના ઘર પાસે જ કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું. આસપાસના લોકો ફાયરિંગના અવાજથી દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા.

માથામાં કાનના ભાગે ગોળી વાગતા ટ્રાવેલર્સ ત્યાં જ ઢળી પડ્યા હતા. જેમને સ્થાનિકો નજીકમાં જ આવેલી સરદાર પટેલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાલ તેઓ બેભાન અવસ્થા છે. ઘટના અંગે અંકલેશ્વર પોલીસે દોડી આવી FSL, ડોગ સ્કવોર્ડ અને બેલેસ્ટિક વિભાગની મદદથી વધુ તપાસ PI આર.એચ.વાળા ચલાવી રહ્યા છે.

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ટ્રાવેલર્સની પત્ની અફસાનાબેને પાલિકાની ચૂંટણીની અદાવત અને અન્ય રીયલ એસ્ટેટના વ્યાવસાયિકો સાથે ચાલતી માથાકુટમાં ૩ જેટલા શકદારોએ જીવલેણ હુમલો કર્યો હોવાની પોલીસ સમક્ષ આશંકા વ્યક્ત કરી છે. પોલીસે હાલ તો હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(7:27 pm IST)