News of Thursday, 4th August 2022
અમદાવાદ :સાર્વત્રિક મતાધિકાર અને સમાવેશી ચૂંટણીઓના લક્ષ્ય સાથે સમાજના દરેક વર્ગના લોકોની સહભાગીતા વધે તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ વિભાગો સાથે સમજૂતી કરાર કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે મહિલાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ કેળવવા મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુવા મતદારો મતદારયાદીમાં નામ નોંધાવે અને મતાધિકાર અંગે જાગૃત થાય તે માટે રોજગાર અને તાલીમ પ્રભાગ સાથે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા MoU કરવામાં આવ્યા.
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની સહભાગીતા વધે અને મહત્તમ મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્ય ચૂંટણી તંત્રને સહયોગ કરવામાં આવશે. જે સંદર્ભે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે.કે. નિરાલા અને મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ સમજૂતિ કરાર કર હસ્તાક્ષર કર્યા હતા.
આ સાથે જ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી લાયકાતની તારીખો મુજબ પાત્રતા ધરાવતા યુવાનો મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવે અને ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકના રોજગાર અને તાલીમ પ્રભાગ દ્વારા વિવિધ તાલીમ કેન્દ્રો થકી યુવા મતદારોમાં જાગૃતિ કેળવવા સહયોગ કરવામાં આવશે. જે સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી તથા રોજગાર અને તાલીમ પ્રભાગના નિયામકશ્રી લલીત નારાયણસિંહ સાંડુ વચ્ચે સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા.
મતદાર શિક્ષણ એ ચૂંટણી પ્રક્રિયાનો અગત્યનો ભાગ છે. મતદારોને પદ્ધતિસરનું શિક્ષણ મળે અને મતદાર જાગૃતિ કાર્યક્રમનો વ્યાપ વધે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે MoU કરવામાં આવી રહ્યા છે. જેનાથી ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે તે માટે સમાજના વિવિધ વર્ગના મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અંગે પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ મુખ્ય નિર્વાચન અધિકારી અને વિકસતિ જાતિ વિભાગના નિયામક વચ્ચે વિચરતી જાતિ સમુદાયના મતદારોની સહભાગીતા વધારવા માટે MoU કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે. પટેલ સહિત ચૂંટણી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.