Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

શિક્ષણના દાવા કરતી સરકારની પોલ ખુલીઃ 26000 સરકારી શાળાઓને મર્જ કરાઇ જ્‍યારે 1657 શાળાઓમાં માતર એક જ શિક્ષક

ખાનગી શાળાઓને પ્રોત્‍સાહન આપતુ શિક્ષણ વિભાગ સરકારી શાળા સંચાલનમાં ઉણુ ઉતર્યુ

ગાંધીનગરઃ રાજ્‍યમાં મોડેલ સ્‍કૂલ પ્રોજેક્‍ટ તરીકે સ્‍કૂલ બનાવ્‍યા બાદ શિક્ષણ વિભાગ અમલ કરવામાં નિષ્‍ફળ રહ્યુ છે. દિવસે ને દિવસે ખાનગી શાળાઓને મંજુરી આપી સરકારી શાળાઓ પ્રત્‍યે ઓરમાયુ વર્તન રાખે છે.

ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે મસમોટા દાવાઓ કરાઈ રહ્યાં છે પણ જ્યારે પણ કોઈ રિપોર્ટ બહાર આવે તો તમામ પોલ ખૂલી જાય છે. સરકાર ભલે સરકારી શાળાઓની વાહવાહી કરે પણ પ્રાધાન્ય તો ખાનગી શાળાઓને આપે છે. સૌથી વધારે પરવાના ખાનગી શાળાઓને અપાઈ રહ્યાં છે કારણ કે સ્કૂલોનો વહીવટ મામકાઓ કરી રહ્યાં છે. જેને પગલે સરકારી શાળાઓની હાલત ખસ્તા થઈ રહી છે. રાજ્યમાં મોડેલ પ્રોજેક્ટ તરીકે સ્કૂલ બનાવ્યા બાદ અમલવારી કરવામાં વિભાગ ઉણો ઉતરે છે અને ફોટો સેશન થઈ જાય તેવી હાલત ગુજરાતમાં છે. શિક્ષણ ક્ષેત્રે મોટી હરણફાળ ભરી હોવાના દાવા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતાં હોય છે, જોકે ગુજરાતમાં ૧,૬૫૭ સ્કૂલી એવી છે જે આજે પણ માત્ર એક શિક્ષકની ચાલે છે, વર્ષ ૨૦૨૧- ૨૨ની સ્થિતિની કબૂલાત ખુદ સ્કૂલ એજ્યુકેશન વિભાગે કરી છે, એટલું જ નહિ પરંતુ ૨૬,૫૯૧ સ્કૂલોને મર્જ કરવામાં આવી છે, જે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય અને નજીકમાં જ બીજી સ્કૂલ ચાલતી હોય તો તેવા કિસ્સામાં સ્કૂલને મર્જ કરી દેવાઈ હોવાનો બચાવ કરાયો છે.

ગુજરાતમાં જે 26,591 સ્કૂલ મર્જ કરવામાં આવી છે. તેમાં સૌથી વધુ ૧૩,૮૨૭ પ્રાયમરી છે. સૌથી મોટો સવાલ એ છે કે બાળકો સરકારી સ્કૂલમાં ભણવા માટે કેમ નથી આવતા. કારણ કે ખાનગી શાળાઓના રાફડા વચ્ચે એજ્યુકેશનને પગલે વાલીઓ ખાનગી સ્કૂલનો રસ્તો પકડી રહ્યાં છે. સરાકરી શાળાઓમાં શિક્ષકોની અછત પણ આ માટે કારણભૂત છે. રાજ્યની 4,૬૩૮ સેકન્ડરી સ્કૂલ અને ૮,૧૨૬  સિનીયર સેકન્ડરી સ્કૂલોનું પણ એકત્રિકરણ કરી દેવાયું છે.  આમ સરકાર ભલે મસમોટા દાવાઓ કરે પણ ગુજરાતના વાલીઓથી આ બાબતો અજાણ નથી. શિક્ષણ વિભાગ પણ જાણે છે પણ શિક્ષણના વ્યવસાયમાં મોટાભાગે નેતાઓ હોવાથી એ પણ ચૂપ રહે છે.  ગુજરાતનો શિક્ષણ વિભાગ મસમોટી વાહવાહીમાંથી ઉંચો આવતો નથી.

ગુજરાતમાં અગાઉ કોંગ્રેસે સરકારી સ્કૂલોને તાળાં મારી દેવાયા હોવાની બુમરાણ મચાવી હતી. જે સમયે સરકારે સરકારી સ્કૂલોમાં બાળકો ઓછા હોવાનો બચાવ કર્યો હતો અને સ્કૂલો મર્જ કરાઈ હોવાનો ખુલાસો કર્યો છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે સરકારી સ્કૂલોમાં બાળકો ભણવા માટે કેમ આવતા નથી.બીજી તરફ સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતની 1657 સ્કૂલો એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે. આ સ્કૂલોમાં બાળકો કઈ રીતે ભણતા હશે એ સૌથી મોટો સવાલ છે. સરકાર ભલે બચાવ કરે પણ સરકારી સ્કૂલનો એક ટિચર તમામ વિષયોમાં કઈરીતે શિક્ષિત હોય એ સવાલનો કોઈ પાસે જવાબ નથી. એક જ શિક્ષકની ચાલતી શાળાઓ મામલે તો ગુજરાતના પડોશી રાજ્યોની સ્થિતિ ગુજરાત કરતાં પણ બદતર છે. 

આપણે ગુજરાતના અન્ય રાજ્યોની વાત કરીએ તો એમપીમાં 16,630 સ્કૂલો, રાજસ્થાનમાં 10,787 સ્કૂલો અને મહારાષ્ટ્રમાં 5,906 સ્કૂલો એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષકથી બાળકોને ભણાવાય છે. ઉત્તર પ્રદેશમાં આવી ૮,૦૪૦, કર્ણાટકમાં ૭૮૪૮, ઝારખંડમાં ૭,૩૨૨, તેલંગાણામાં ૬,૩૯૨ અને આંધ્રપ્રદેશમાં ૧૨,૩૮૯ સ્કૂલો છે. આમ અન્ય રાજ્યો કરતાં સ્થિતિ સારી હોવા છતાં શિક્ષણ વિભાગે એ ના ભૂલવું જોઈએ કે ગુજરાત એ સદ્ધર રાજ્ય હોવાની સાથે વસતીની ટકાવારીની દ્રષ્ટીએ પણ આ રાજ્યોમાં તફાવત છે.

(5:04 pm IST)