Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

વડોદરામાં અભદ્ર ચિત્રો પ્રકરણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 31 વિદ્યાર્થીઓ સામે પોલીસને લાફા મારવાની ફરિયાદ

પોલીસે જાહેરનામા ભંગ, પોલીસ કામગીરીમાં રૂકાવટ સહિતની કલમો મુજબ ગુનો નોંધ્‍યો

વડોદરા: વડોદરામાં પોલીસ કર્મચારીઓને લાફો મારવાના મામલે ગુનો નોંધાયો છે. એમ. એમ. યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં દેવી-દેવતાઓના વાંધાજનક કટઆઉટનો વિરોધ થયો હતો. આ સમયે વિશ્વ હિન્દુ પરિષદના કાર્તિક જોષી અને ધ્રુવ પારેખે સયાજીગંજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભરતભાઈને થપ્પડ મારી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને હવે આ મામલે ગુનો નોંધાયો છે. સાથે જ આ વિરોધ દરમિયાન AVBPના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે મામલે ABVP ના 31 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે જાહેરનામા ભંગ, પોલીસની કામગીરીમાં રૂકાવટ સહિતની કલમો સાથે ગુનો નોંધ્યો છે. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનના PSI એ ડી ખાંટે ફરિયાદ નોધાવી છે.

એમ એસ યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં હિન્દુ દેવી દેવતાઓના વાંધાજનક ચિત્રો ડિસ્પ્લેમાં મૂકવાનો મામલો વકર્યો છે. આજે કમિટી યુનિ. સત્તાધીશોને અહેવાલ સુપરત કરાશે. ફેકલ્ટીના ડીન કમિટી સમક્ષ જવાબ આપવા હાજર થતાં જ નથી. ફાઈન આર્ટસ ફેકલ્ટીની જે તસવીરો પર વિવાદ સર્જાયો હતો, તે વિવાદાસ્પદ આર્ટવર્ક કુંદન કુમારે બનાવ્યા હતા. આર્ટવર્ક પરીક્ષાના ભાગરૂપે બનાવ્યા હોય ડિસ્પ્લેમાં પણ મુકાયા હોવાનો ખુલાસો થયો છે. એક પરીક્ષકે વિરોધ કર્યા બાદ 2 મેના રોજ આર્ટવર્ક હટાવવામાં આવ્યા હતા. કમિટીની બેઠક રવિવારે રજાના દિવસે પણ મળી હતી.

દેવી દેવતાઓનુ અપમાન

કોલેજના ડિસ્પ્લેમાં હિન્દુ દેવી દેવતાઓને અશોભનિય કટઆઉટ લગાવવામાં આવતા વિવાદ થયો છે. દુષ્કર્મના સમાચારને લગતા ન્યૂઝ પેપર કટિંગમાંથી હિન્દુ દેવીદેવતાઓના કટઆઉટ ડિસ્પ્લેમાં લગાવાયા હતા. આ ચિત્રોમાં અખબારના પાનાઓ હતા. તેમાં વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસ સહિતના દુષ્કર્મના સમાચારોના પેપર કટિંગનો ઉપયોગ થયો હતો.

AVBP એ વિરોધ દર્શાવ્યો હતો

હિન્દુ દેવી દેવતાઓના અશોભનીય કટાઉટ ડિસ્પ્લે કરાયાના વિવાદ મામલે AVBP એ ફાઈન આર્ટસ ફેકલ્ટીના ડીનની ઑફિસમાં તોડફોડ કરી હતી. ડીનને આવેદનપત્ર આપતા સમયે ડીનની ઑફિસમાં જ તોડફોડ કરી હતી. ઓફિસના ટેબલના કાંચ તોડી નાખ્યાં, તસવીર તોડી નાંખી હતી. તેમજ ઑફિસમાં મુકેલી ફાઈલના કાગળો ફાડી નાંખ્યા હતા. પોલીસની હાજરીમાં જ ABVP કાર્યકરોએ ડીન ઑફિસમાં તોડફોડ કરી હતી. ABVP એ ફેકલ્ટી ડીનનું રાજીનામું માંગ્યું હતું.

બીજી તરફ, આ મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. વિવાદ વચ્ચે એક યુવકે પોલીસ કર્મીને માર માર્યો હતો. યુવકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતભાઈને માર માર્યો હતો. યુવકે ઘર્ષણ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને ત્રણ લાફા ઝીંકી દીધા હતા. પોલીસે લાફો મારનાર શખ્સની અટકાયત કરી છે. પોલીસ કર્મીએ બાદમાં યુવકને પણ માર માર્યો હતો.

(5:21 pm IST)