News of Tuesday, 14th June 2022
નવસારીઃ ભારતમાં વિવિધ ધર્મો સંસ્કૃતિ અને પરંપરાને માનનારા લોકો વસે છે. જેમાં ઇરાનથી આવેલા પારસીઓ પણ પોતાની અનોખી જીવનશૈલીથી રહે છે. હિન્દુઓમાં શ્રાવણ માસનું મહત્વ છે તેમ પારસીઓમાં પણ બમન માસનું એટલુ જ મહત્વ છે. આ માસના દિવસે પારસી યુવાનો ઘી અને ખીચડીના રૂપિયા ભિક્ષા માંગીને ઉઘરાવીને ખીચડી બનાવી વરસાદને રીઝવવાનો પ્રયત્ન કરે છે.
પ્રકૃતિને પૂજનારા પારસીઓનો પવિત્ર બોમન મહિનો શરૂ થયો છે અને આજે બોમન રોઝ છે. ત્યારે પારસી યુવાનો પરંપરાગત રીતે પારસી વિસ્તારોમાં ફરી "ઘી-ખીચડીનો રૂપિયો " પારસી ગીત ગાઈને ભીક્ષા માંગી, વરસાદને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ સર્વત્ર સારો વરસાદ થાય, ધાન્ય પાક સારો થાય એ માટેની પ્રાર્થના કરશે. જયારે ભીક્ષામાં ભેગા થયેલા ધાન્યમાંથી ખીચડી બનાવી ઉજાણી કરશે.
દૂધમાં સાંકરની જેમ વસેલા પારસીઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ વળગી રહ્યા છે. હિન્દુઓના શ્રાવણ માસની જેમ જ પારસીઓમાં બમન માસનું મહત્વ છે, ત્યારે આજે બમન રોઝના દિને પારસી યુવાનો વરસાદને રિઝવવા ઘી-ખીચડીની સામગ્રી પારસીઓના ઘરેથી ઉઘરાવી પરંપરાને આગળ વધાવી રહ્યા છે.
ઈરાનથી ભારતમાં આવેલા પારસીઓ આજે પણ પોતાના ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રહ્યા છે. ઈરાનના સારી શહેરના જેવા જ શહેરથી આકર્ષાઈ નવસારીમાં વસ્યા હતા. પ્રકૃતિ પૂજક પારસીઓ વર્ષોથી જૂન મહિના આસપાસ આવતા તેમના પવિત્ર બમન માસના બમન રોઝના દિવસે વરસાદને રિઝવવા વરસાદી ગીત " ઘી-ખીચડીનો પૈસો, ડોઢિયાનો રૂપિયો, વરસાદજી તે આયેગા, દમડી શેર લાયેગા.." ગીત ગાતા-ગાતા પારસી વિસ્તારોમાં ફરે છે. અહીંના પારસીઓ ઘરેથી પોતાની શક્તિ પ્રમાણે ચોખા, દાળ, ઘી, તેલ, ઈંડા, બટેકા, કાંદા જેવી સામગ્રી (ભીક્ષા) આપે છે. ખાસ કરીને પારસી યુવાનો અને બાળકો વહેલી સવારથી ઘી-ખીચડીની સામગ્રી ઉઘરાવવા નીકળે છે અને બપોર સુધી સામગ્રી ભેગી કરી, એક જગ્યાએ ભેગા થયા બાદ ખીચડી અને અન્ય વાનગી બનાવી બધા યુવાનો ભેગા મળીને જમે છે અને બમન રોઝ ઉજવે છે.
હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની જેમ જ પારસીઓના બમન માસમાં પારસીઓ અનેક પૂજા-અર્ચના કરતા હોય છે. ત્યારે આજે બમન રોઝના રોજ પણ પારસીઓ વરસાદને રિઝવવા અનોખી રીતે ગીત ગાઈને ખીચડીની સામગ્રી ઉઘરાવે છે. જેના પાછળ સારો વરસાદ થાય અને સારા વરસાદને કારણે માનવજાતને જરૂરિયાત મુજબનું ધાન્ય પાકે એવી ભાવના રહેલી છે. કોરોનાના બે વર્ષોમાં પારસીઓ આ પરંપરા તૂટી હતી, પરંતુ હવે જ્યારે કોરોના નહીંવત છે, ત્યારે આજે પારસી યુવાનોએ ઉત્સાહ સાથે બમન રોઝ ઉજવી, ખીચડીની સામગ્રી ઉઘરાવી, તેને રાંધીને ભેગા મળી જમ્યા હતા. આ દિવસે પારસીઓ અગિયારીમાં જઈ પવિત્ર આતસ બહેરામને પણ સારા વરસાદ અને ધાન્ય માટે પ્રાર્થના કરે છે.
સૃષ્ટિ ઉપર અનેક ધર્મોના લોકો ભગવાનને પોતપોતાની રીતે જીવન સુખમય રહે એવી પ્રાર્થના કરતા હોય છે. જેમાં પણ પ્રકૃતિને પૂજનારા પારસીઓ વરસાદી ગીત ગાઈ સારા વરસાદ સાથે સારૂ અનાજ પાકે એવી પ્રાર્થના કરી સમસ્ત સંસારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે, જે પારસીઓએ ભારતમાં આવ્યાની સાથે આપેલા વચનની સાક્ષી પૂરે છે.