News of Monday, 20th June 2022
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી છે, જે અન્વયે દર વર્ષે તા.૨૧ જુન, ૨૦૨૨ ના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારે યોગ વિદ્યાની મૂળ ભૂમિ એવા ભારતમાં આ સંદર્ભે ૨૧ મી જુનના દિવસે વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામમાં અને શહેરોમાં યોગને લગતા વિવિધ કાર્યક્રમોનું વિશાળ પાયે આયોજન કરાયું છે.
“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દેશભરના ૭૫ આઇકોનિક સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પસંદ પામેલા ચાર આઇકોનિક સ્થળોમાં નર્મદા જિલ્લાના SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો છે. જેનાથી આ વિસ્તારમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. એકતાનગર ખાતે ૩,૮૦૦ કરતા વધુ સાધકો યોગા કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે.
વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગઇકાલે જીલ્લા કલેકટર ડી.એ.શાહે સમીક્ષા બેઠક યોજીને પૂર્વ તૈયારીઓની માહિતી મેળવી હતી અને આજે સવારે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતીમાં રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે નિયત કરાયેલ વિવિધ ૪ સ્થળો પૈકી એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય ઉજવણી થશે તે સિવાય ડેમ વ્યુ પોઇન્ટ,ડેમ ટોપ અને નર્મદા મહાઆરતી ઘાટ ખાતે પણ ઉજવણી થશે.એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવીયા,નર્મદા જીલ્લાના પ્રભારી મંત્રી પુર્ણેશભાઇ મોદી,સંસદ સભ્ય સર્વશ્રી મનસુખભાઇ વસાવા, ગીતાબેન રાઠવા, પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી,પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઇ વસાવા, નર્મદા સુગર ફેકટરી ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ,રાજપીપલા નગરપાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલ સહીતના પદાધિકારીઓ ઉજવણીમાં ભાગ લેશે અને યોગસાધના કરશે.
આ ઉપરાંત એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇડરના ધારાસભ્ય અને પ્રખ્યાત ફિલ્મ કલાકાર હિતુભાઇ કનોડિયા, લોકગાયિકા સુ. કિંજલ દવે,ગુજરાતી ફિલ્મ કલાકાર મયુર ચૌહાણ, વિશ્વપ્રસિદ્ધ ગાયક આદિત્ય ગઢવી, ગુજરાતી ફિલ્મ કલાકાર સુ. યુક્તિ રાંદેરીયા પણ યોગસાધના કરશે.
તદઉપરાંત, જિલ્લાના તમામ તાલુકાકક્ષા, રાજપીપલા નગરપાલિકા કક્ષાએ અને જિલ્લાના તમામ ગામોમાં ગ્રામ્યકક્ષાએ, જિલ્લાની તમામ શાળા-કોલેજો, યુનિવર્સિટી, ITI, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, જિલ્લા જેલ, પોલીસ હેડ ક્વાટર્સ, તમામ પોલીસ સ્ટેશન વગેરે જેવા સ્થળોએ પણ વિશ્વ યોગ દિવસે યોગના કાર્યક્રમો વિશાળ પાયે યોજાનાર છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં ૧૧ જેટલા વિવિધ સ્થળોએ સામાજિક, શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી યોગની તાલીમ પણ પૂરી પડાઇ છે.
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે સવારે ૬=૦૦ કલાકે વિશ્વ યોગ દિવસની કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવીયાને ઉપસ્થિતીમાં વિધિવત ઉજવણીનો પ્રારંભ થશે. ત્યારબાદ ઉપસ્થિત સેલિબ્રીટી સાથે ઉપસ્થિત મહાનુભાવો વાર્તાલાપ કરશે.ત્યારબાદ જીલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશભાઇ મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવીયા તેમના પ્રાસંગિક પ્રવચન કરીને ઉપસ્થિત યોગસાધકોનો ઉત્સાહ વધારશે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ કરાશે. પ્રધાનમંત્રીના પ્રેરક ઉદબોધન બાદ ૪૫ મિનિટ સુધી એકસાથે તમામ ૪ સ્થળોએ સામુહિક યોગ સાધના કરાશે.