Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સાંસદે મોદીને ટોણો માર્યો

'૧૫ લાખ આવ્યા નહીં: ઘરવાળી ઘરેણા ખરીદવાની રાહ જોતી હતી'

એક નેતાએ કહ્યું, અત્યારે નરેન્દ્રભાઇ મોદી પાસે સરદાર પટેલની જગ્યા લેવાની તક છે, એ પણ ગુજરાતના સપૂત હતા

નવી દિલ્હીઃ સંસદ બજેટનો આજે છઠ્ઠો દિવસ છે. નવા ખેતી કાયદાની વિરુદ્ઘમાં હજુ પણ હોબાળાનો અંત નથી આવ્યો. ગુરુવારે સંસદના બન્ને ગૃહમાં ખેડૂત આંદોલનનો મુદ્દો ઉછળ્યો હતો. લોકસભામાં કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. રાજયસભામાં પણ વિરોધ પક્ષોએ ત્રણ નવા ખેતી કાયદાને પરત લેવાની માંગ કરી. બીજી તરફ સરકારે કહ્યું કે ખેડૂતોને આ કાયદાથી આઝાદી મળી શકે છે.

કોંગ્રેસના સાંસદ પ્રતાપસિંહ બાજવાએ પંજાબી ભાષામાં પોતાની વાત રજૂ કરી હતી. તેમણે ખેડૂત આંદોલન પર આક્રામક મૂડમાં મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરીને કહ્યું કે દિલ્હીમાં ખેડૂતોને રોકવા માટે જે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઈ છે, તે બીજા દેશના તાનાશાહ કરતા આવ્યા છે. બાજવાએ કહ્યું, 'વડાપ્રધાનજી, તમારી કોંગ્રેસ સાથે વેર હોઈ શકે છે, વિરોધ પક્ષ સાથે હોઈ શકે છે પરંતુ ખેડૂતોથી શું વેર છે? તમારી પાસે તક છે સ્ટેટ્સમેન બનવાની. તમારી પાસે તક છે સરદાર પટેલવાળી જગ્યા લેવાની. એ પણ ગુજરાતના સપૂત હતા. આવો ચાલો, હું તમારી સાથે આવું છું. ચાલો સિંધુ બોર્ડર.

IUMLના અબ્દુલ વહાબએ MPLADS ફંડ્સ છોડવાની માંગ કરી. તેમણે કહ્યું કે લોકોની વચ્ચે અમારી શાખ ખતમ થઈ ગઈ છે. તેમણે સાંસદો અને પંચાયત સભ્યોને પણ પ્રાથમિકતાના આધારે કોરોના વેકસીન આપવાની માંગ કરી. વહાબે ટોંટ મારવાના અંદાજમાં કહ્યું કે 'મને હજુ સુધી માર્ ૧૫ લાખ નથી મળ્યા. હું મારું અકાઉન્ટ ચેક કરતો રહેતો હતો કે રુપિયા આવ્યા કે નહીં. દ્યણાં વર્ષો થઈ ગયા, હજુ સુધી નથી આવ્યા. મારી પત્ની એ રુપિયાની રાહ જોઈ રહી હતી, તે ઘરેણા ખરીદવા માગતી હતી પણ રુપિયા આવ્યા જ નહીં.

રાજયસભામાં બસપાના સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યું, 'તમે (સરકાર) ખેડૂતોને તેમની જમીનથી અલગ કરવા માગો છો. જે ત્રણ કાયદા બનાવ્યા છે, તેમાં ખેડૂતોના હકની કોઈ વાત નથી કરાઈ. કલેકટર બધું નક્કી કરશે તો એ તમારું સાંભળશે, કોર્પોરેટનું સાંભળશે કે ગરીબ ખેડૂતનું સાંભળશે? એમએસપી માટે ખેડૂત લડી રહ્યો છે. તમે એમએસપીને કાયદામાં શા માટે નથી નાખી રહ્યા? એટલા માટે નથી નાખી રહ્યા કે તમારો ઈરાદો ખરાબ છે. તમે જેના ઉદ્ઘારની વાત કરી રહ્યા છો, તે જ એ કરે છે કે અમારું અમારા પર ના નાખો.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું, 'પંતપ્રધાન મોદી અમારા માટે આદરણીય છે. તેમને દેશ ચલાવવા માટે પ્રચંડ બહુમતી મળી છે, અમે એ સ્વીકારીએ છીએ. પરંતુ બહુમતી ઘણી ચંચળ હોય છે. તેમણે કહ્યું, 'જે રીતે ખેડૂત આંદોલનને બદનામ કરવાનું ષડ્યંત્ર થઈ રહ્યું છે, દેશની પ્રતિષ્ઠા માટે યોગ્ય નથી. ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર અપમાન થયું, તેનાથી અમારા વડાપ્રધાન ઘણાં દુઃખી થયા. પરંતુ લાલ કિલ્લા પર તિરંગાનું અપમાન કરનારા કોઈ દીપ સિદ્ઘુ છે, તેના વિશે તમે નથી બોલતા.

(3:55 pm IST)