Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે રાહતના સમાચાર

ભારતમાં કોરોનાનો મૃત્યુ દર ઘટયો:રિકવરી રેટ વધ્યો

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસનો આંકડો ૨૪ લાખને પાર પહોંચી ગયો છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 66,999 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 942 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 23,96,638 પર પહોંચી ગયો છે. જેમાંથી 6,53,622 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 16,95,982 લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 47,033 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. જો કે રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં ઘટાડો થયો છે. 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં કુલ 2,68,45,688 સેમ્પલ ટેસ્ટ થયા છે. જેમાંથી  8,30,391 નમૂનાનું પરિક્ષણ ગઈ કાલે કરાયું હતું. જો કે રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં ઘટાડો થયો છે. મૃત્યુદર ઘટીને 1.96% થયો છે. આ સાથે જ રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર પણ  70.76% થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 

આંકડા મુજબ દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. દોઢ લાખથી વધુ સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ત્યારબાદ બીજા નંબરે તામિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમા નંબર પર પશ્ચિમ બંગાળ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયામાં 3 દિવસ 12 હજારથી વધુ કેસ આવી ચૂક્યા છે. આ સાથે જ હવે ત્યાં પીડિતોની સંખ્યા 5 લાખ 35 હજારને પાર ગઈ છે. આસામમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આસામમાં 13 ઓગસ્ટના રોજ કોરોનાના 4593 કેસ નવા આવ્યાં છે. જ્યારે 6 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 69000ને પાર ગઈ છે.

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની સૂચિમાં અમેરિકા પ્રથમ નંબરે છે. જ્યાં અત્યાર સુધીમાં 53.60 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે એક લાખ 69 હજારથી વધુ લોકોના જીવ ગયા છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ ક્રમશ" ભારત, બ્રાઝિલ અને અમેરિકામાં આવ્યાં છે. જ્યારે સૌથી વધુ મોત અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં થયા છે.

(2:42 pm IST)