Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ગેરકાયદે ધર્મ પરિવર્તનના કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ :યુપી ATSની મોટી કાર્યવાહી

મૌલાનાને વિદેશમાંથી કુલ 3 કરોડ મળ્યા હતા : પૂર્વ અભિનેત્રી સના ખાનના નિકાહ કરાવ્યા હતા: ઉમર ગૌતમે ખુલાસો કર્યો હતો કે તેના ભાગીદાર મૌલાના કલીમ સિદ્દીકીએ છેલ્લા કેટલાક વર્ષોમાં 5 લાખથી વધુ લોકોના ધર્માંતરણ કર્યા

નવી દિલ્હી :ગેરકાયદે ધર્મ પરિવર્તનના કેસમાં યુપી એટીએસએ ગ્લોબલ પીસ સેન્ટરના પ્રમુખ મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરી છે. UP ATS એ મૌલાના કલીમ સિદ્દીકીની મેરઠથી ધરપકડ કરી છે. મૌલાના જમિયત-એ-વલીઉલ્લાહના પ્રમુખ પણ છે. મળતી માહિતી મુજબ મૌલાના કલીમ ઉમર ગૌતમની નજીક છે.

ઉતરપ્રદેશ ATS દ્વારા આ મુદ્દે આજે લખનૌમાં મોટો ખુલાસો કરી શકે છે. કાલિમની પ્રવૃત્તિઓ શંકાસ્પદ રહી હતી. મૌલાના કલીમ મંગળવારે સાંજે મેરઠમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. રાત્રે 9 વાગ્યે નમાઝ પછી, તે તેના સાથીઓ સાથે પાછો ફર્યો હતો. આ દરમિયાન, પરિવારના સભ્યોએ મૌલાનાને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો. આ પછી પરિવારે મૌલાનાની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે ખબર પડી કે ઉતરપ્રદેશ ATS એ તેમને કસ્ટડીમાં લીધા છે.

 

મુઝફ્ફરનગરના ખતૌલીમાં રહેતા મૌલાન કલીમ સિદ્દીકી અને ત્રણ મૌલવીઓ, ડ્રાઈવર સલીમની મંગળવારે રાત્રે સુરક્ષા એજન્સીએ અટકાયત કરી હતી. લખનૌ એટીએસએ આખી રાત ચારેયની પૂછપરછ કરી છે. સુરક્ષા એજન્સી આજે આ મામલે મોટો ખુલાસો કરી શકે છે.

ઉમર ગૌતમે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેના ભાગીદાર મૌલાના કલીમ સિદ્દીકીએ છેલ્લા કેટલાક વર્ષોમાં 5 લાખથી વધુ લોકોના ધર્માંતરણ કર્યા હતા. સગીરોનું રૂપાંતર IDC દ્વારા પણ કરવામાં આવી રહ્યું હતું. જેમનુ ધર્માંતરણ કરાયુ છે, તેમના નામ એટીએસને મળ્યા છે. તેમાં ખ્રિસ્તી 4 ટકા, શીખ 0.75 ટકા અને એક જૈન વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

 મૌલાના કલીમ સિદ્દીકીને ધર્મ પરિવર્તનના કેસમાં આરોપી બનાવી શકાય છે. તેના પર અસંખ્ય ધર્મપરિવર્તન કરવાનો આરોપ છે. મૌલાના કલિમે 7 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં RSS ના વડા મોહન ભાગવત દ્વારા આયોજિત રાષ્ટ્ર પ્રથમ અને રાષ્ટ્ર સર્વોચ્ચ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. મૌલાના કલીમ સિદ્દીકીએ બોલીવુડની પૂર્વ અભિનેત્રી સના ખાનના નિકાહ કરાવ્યા હતા.
ઉતરપ્રદેશના એડીજી પ્રશાંત કુમારે કહ્યુ કે, અત્યાર સુધીની તપાસમાં મૌલાનાને વિદેશમાંથી કુલ 3 કરોડ મળ્યા છે. જેમાં 1.5 કરોડ બહેરીનથી મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર મામલે તપાસ કરવા માટે એટીએસ દ્વારા કુલ છ ટીમ બનાવવામાં આવી છે.

(1:47 pm IST)