Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ફેબ્રુ.માં ત્રીજી વેવ, રોજ ૧.૫ લાખથી વધુ કેસની શક્યતા

ઓમિક્રોનના વધતા કેસની વચ્ચે બે વૈજ્ઞાનિકોનું અનુમાન :અનુમાન આઈઆઈટી કાનપુરના પ્રોફેસર- આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસરે સુત્રા મોડેલના આધાર પર લગાવ્યું

નવી દિલ્હી, તા.૨૨ : કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે ૨ વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે, દેશમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં કોવિડ-૧૯ની ત્રીજી લહેર આવી શકે છે. જો વૈજ્ઞાનિકોના દાવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો ફેબ્રુઆરી ૨૦૨૨માં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પીક પર પહોંચી શકે છે. આ અનુમાન આઈઆઈટી કાનપુરના પ્રોફેસર અને આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસરે પોતાના સુત્રા મોડેલના આધાર પર લગાવ્યું છે.
એક રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, સૌથી ખરાબ સ્થિતિ દરમિયાન ફેબ્રુઆરીમાં દરરોજના સંક્રમણના નવા કેસોની સંખ્યા ૧.૫ લાખથી ૧.૮ લાખ થઈ શકે છે. તેઓએ એ પણ જણાવ્યું કે, આ ત્યારે જ થઈ શકશે જ્યારે ઓમિક્રોન વેરિએન્ટ વેક્સિનેશન અથવા સંક્રમિત થયા બાદ બનેલા ઈમ્યૂનિટીથી પૂરી રીતે બચી શકશે. આગળ તેમણે એ પણ જણાવ્યું કે, ફેબ્રુઆરી બાદ આગળના મહિનાથી ઓમિક્રોનના કેસ ઘટવા લાગશે એટલા માટે ભારતે ચિંતા કરવાનું છોડી સાવધાની રાખવાની જરૂર છે.
પ્રોફેસરે જણાવ્યું કે, નવો વેરિએન્ટ (ઓમિક્રોન) જેટલી ઝડપથી ફેલાશે એટલી જ ઝડપથી ઓછો પણ થઈ જશે. તેમણે સાઉથ આફ્રિકાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, ત્યાં ૩ અઠવાડીયામાં કેસની સંખ્યા પીક પર પહોંચી ગઈ અને સંક્રમણના કેસ ઓછા થવાનું પણ શરૂ થઈ ગયું છે. સાઉથ આફ્રિકામાં કોરોના સંક્રમણના નવા કેસોની પીક સંખ્યા ૧૫ ડિસેમ્બરે લગભગ ૨૩,૦૦૦ હતી જે હવે ઘટીને ૨૦,૦૦૦થી નીચે જઈ ચૂકી છે. જોકે, સંક્રમણના કારણે મૃત્યુ સંખ્યા હજુ પણ ડબલ ડીઝિટમાં છે અને વધી રહી છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, હજુ સુધી એ જાણી નથી શક્યા કે, નવો વેરિએન્ટ કેટલી હદ સુધી વેક્સિન કે પ્રાકૃતિક રૂપથી બનેલી ઈમ્યૂનિટીથી બચી શકે છે. તેમણે જણાવ્યું કે, બ્રિટન અને અમેરિકાના કેસો, સંક્રમણથી મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ દર જોઈએ તો ભારતમાં ફેબ્રુઆરીથી ઓમિક્રોનનું જોખમ ઓછું થઈ જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ ઓમિક્રોન વેરિએન્ટને લઈને રાજ્યોને એલર્ટ કર્યા અને દેખરેખ વધારવા અને યુદ્ધસ્તર પર કામ કરવાનો આદેશ આપ્યો છે. મંગળવારે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારને પત્ર લખીને સચેત કર્યા હતા કે હાલના વૈજ્ઞાનિક પુરાવા સૂચવે છે કે, ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં ઓછામાં ઓછો ત્રણ ઘણો વધારે સંક્રમક છે. તેમણે રાજ્યોને જિલ્લા સ્તર પર દેખરેખ વધારવા, ટેસ્ટિંગ વધારવા અને હોસ્પિટલોને કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે.
ડબલ્યુએચઓના સ્થાનીય નિર્દેશક ડોક્ટરએ જણાવ્યું કે, આપણે વધુ એક તોફાનને આવતું જોઈ રહ્યા છીએ. થોડા જ અઠવાડિયામાં ઓમિક્રોન આ ક્ષેત્રના વધુ દેશો પર હાવી થઈ જશે જેના કારણે  આરોગ્ય વ્યવસ્થાને વધુ અસર કરશે જે પહેલાથી જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.

 

(7:53 pm IST)