Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સુપ્રીમ કોર્ટે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટ્ન મહેન્દ્ર સિંહ ધોનીને આમ્રપાલી ગ્રુપ મામલે નોટીસ ફટકારી

આમ્રપાલી ગ્રૂપના ફ્લેટની ડિલિવરી અંગે વિવાદ: કોર્ટે મહેન્દ્ર સિંહ ધોની અને આમ્રપાલી ગ્રુપને નોટિસ પાઠવીને પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આમ્રપાલી ગ્રૂપના ફ્લેટની ડિલિવરી અંગે વિવાદ ચાલી રહ્યો છે, જેની સુનાવણી સોમવારે  સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયેલો મામલો પણ સામે આવ્યો હતો.એમએસ ધોનીએ આમ્રપાલી ગ્રૂપ પાસેથી રૂ. 150 કરોડના લેણાં લેવાના છે, બીજી તરફ ગ્રુપના ગ્રાહકોને તેમના ફ્લેટ નથી મળી રહ્યા, તેથી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ પછી હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આમ્રપાલી ગ્રુપ અને મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ જારી કરવામાં આવી છે.

આમ્રપાલી ગ્રુપ અને મહેન્દ્ર સિંહ ધોની સંબંધિત આ મામલો અગાઉ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો, જ્યાં હાઈકોર્ટે એક સમિતિની રચના કરી હતી. નિવૃત્ત જસ્ટિસ વીણા બીરબલની અધ્યક્ષતાવાળી આ સમિતિ મામલાને ઉકેલવા માટે જવાબદાર હતી.

કમિટીની રચના થયા બાદ જ પીડિતોએ સુપ્રીમ કોર્ટમાં આ મામલો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પીડિતો વતી દલીલ કરવામાં આવી છે કે આમ્રપાલી ગ્રૂપ પાસે ફંડની અછત છે, તેથી તેમના દ્વારા બુક કરાયેલા ફ્લેટ ઉપલબ્ધ નથી.

પીડિતો વતી આ દલીલ કોર્ટમાં આપવામાં આવી છે

પીડિતોનું કહેવું છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ દિલ્હી હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિની સામે તેમના 150 કરોડ રૂપિયાના લેણાં લીધા છે. મહેન્દ્ર સિંહ ધોની આમ્રપાલી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર હતા, આ માટે તેને 150 કરોડ મળવાના છે. હવે પીડિતો તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે જો આમ્રપાલી ગ્રુપ એમએસ ધોનીના લેણાં ચૂકવવા માટે પૈસા ખર્ચે છે, તો તેમના ફ્લેટ ઉપલબ્ધ રહેશે નહીં.આ સંદર્ભમાં હવે સુપ્રીમ કોર્ટે મહેન્દ્ર સિંહ ધોની અને આમ્રપાલી ગ્રુપને નોટિસ પાઠવીને પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. જો કે સુપ્રીમ કોર્ટે હજુ સુધી આર્બિટ્રેશન કમિટીની સુનાવણી કે કોઈપણ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવી નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે આમ્રપાલી ગ્રૂપ પર આરોપ હતો કે તેણે હજુ સુધી તેમના ઘણા ગ્રાહકોને ફ્લેટ આપ્યા નથી, પૈસા લેવા છતાં પ્રોજેક્ટ પૂરો ન થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની આ સમયગાળા દરમિયાન આમ્રપાલી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર હતા. તેમણે આ ગ્રુપ માટે ઘણી જાહેરાતો પણ શૂટ કરી.

વર્ષ 2016માં જ્યારે નોઈડામાં આમ્રપાલી ગ્રૂપના કેટલાક પ્રોજેક્ટ્સને લઈને પ્રદર્શન ઉગ્ર બન્યું હતું, તે સમયે એમએસ ધોની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ મોટા વિવાદ વચ્ચે એમએસ ધોનીએ આમ્રપાલી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

જોકે થોડા સમય બાદ જ્યારે મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો અને એક કમિટી બનાવવામાં આવી હતી. ત્યારપછી એમએસ ધોનીએ અરજી કરી હતી કે તે આમ્રપાલી ગ્રૂપ પાસેથી રૂ. 150 કરોડ લેવાના છે, જે તેની બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ફી છે.

(1:05 am IST)