Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર બાદ પૂર્વ યશવંત સિન્હાએ હૈયાની વરાળ બહાર કાઢી ! : કહ્યું - હું અપક્ષ રહીશ અને કોઈ અન્ય પાર્ટીમાં જોડાઈશ નહીં

હું હજુ સુધી એ નક્કી નથી કરી શક્યા કે જાહેર જીવનમાં કઈ ભૂમિકા ભજવીશ, મારે જોવાનું છે કે હું કેટલો સમય કામ કરી શકું છું : યશવંત સિન્હા

નવી દિલ્લી તા. 26 : કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત બિન-ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉમેદવાર સિંહાને તાજેતરની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ હ્રદયની વરાળ બહાર કાઢતા કહ્યું કે, તે હવે કોઈ અન્ય રાજકીય પક્ષમાં જોડાશે નહીં.

યશવંત સિન્હાએ કહ્યું કે, તેઓ હજુ સુધી એ નક્કી નથી કરી શક્યા કે તેઓ જાહેર જીવનમાં કઈ ભૂમિકા ભજવવા માંગે છે. તેમણે પીટીઆઈને કહ્યું, હું અપક્ષ રહીશ અને કોઈ અન્ય પાર્ટીમાં જોડાઈશ નહીં. પૂછવામાં આવ્યું કે શું તેઓ તૃણમૂલ નેતૃત્વના સંપર્કમાં છે, સિંહાએ નકારાત્મક જવાબ આપ્યો. તેમણે કહ્યું, મારી સાથે કોઈએ વાત કરી નથી અને મેં પણ કોઈની સાથે વાત કરી નથી.

જોકે, તેમણે કહ્યું કે તેઓ અંગત રીતે તૃણમૂલના એક નેતાના સંપર્કમાં છે. પૂર્વ નાણામંત્રીએ કહ્યું, મારે જોવું પડશે કે હું જાહેર જીવનમાં કઈ ભૂમિકા ભજવીશ, હું કેટલો સક્રિય રહીશ. હું અત્યારે 84 વર્ષનો છું, તેથી આ સમસ્યાઓ છે. મારે જોવાનું છે કે હું કેટલો સમય કામ કરી શકું છું. ભાજપના કટ્ટર ટીકાકાર સિંહા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા માર્ચ 2021માં તૃણમૂલમાં જોડાયા હતા. તેમણે 2018માં ભાજપથી અલગ થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમણે વિરોધ પક્ષોના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. મુર્મુએ મતદારો સહિત સાંસદો અને ધારાસભ્યોના માન્ય મતોમાંથી 64 ટકાથી વધુ મેળવ્યા હતા અને ભારે માર્જિનથી ચૂંટણી જીતી હતી. સિન્હાના 3,80,177 વોટ સામે મુર્મુને 6,76,803 વોટ મળ્યા હતા.

દ્રૌપદી મુર્મૂએ પદના શપથ લીધા બાદ સંસદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, લોકશાહીની શક્તિએ મને અહીં સુધી પહોંચાડી છે. મારા માટે દેશવાસીઓનું હિત સર્વોપરી છે. દરેકના પ્રયાસોથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. મને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ આપ સૌનો આભાર. દ્રૌપદી મુર્મૂએ વધુમાં કહ્યું હતુ કે, રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી અંગત સિદ્ધિ નથી, તે ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. આજે હું તમામ દેશવાસીઓને ખાસ કરીને ભારતના યુવાનો અને ભારતની મહિલાઓને ખાતરી આપું છું કે આ પદ પર કામ કરતી વખતે મારા માટે તેમના હિત સર્વોપરી રહેશે. આજે હું આવા પ્રગતિશીલ ભારતનું નેતૃત્વ કરવા માટે ગર્વ અનુભવું છું.

(9:24 pm IST)