Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર

હવે કોમનવેલ્થમાં ભારતીય ધ્વજ ધારકની જવાબદારી અન્ય કેટલાક દિગ્ગજોને સોંપવી પડશે: ધ્વજ ધારકના દાવામાં ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓનું નામ મોખરે

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતને બીજો મેડલ અને પહેલો સિલ્વર મેડલ અપાવનાર નીરજ ચોપરા વિશે હાલમાં જ ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે.

આ વખતે કોમનવેલ્થ ગેમ્સ ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે. જેમાં નીરજને ભારતીય ટીમ તરફથી ફ્લેગ બેરર તરીકે સૌથી મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. તેમનું નામ લગભગ નક્કી થઈ ગયું હતું, પરંતુ તેમના બહાર નીકળવાના કારણે હવે મામલો પેચીદો બની ગયો છે.

હવે કોમનવેલ્થમાં ભારતીય ધ્વજ ધારકની જવાબદારી અન્ય કેટલાક દિગ્ગજોને સોંપવી પડશે. આ કાર્ય રમતવીર માટે ગર્વની વાત છે. કોમનવેલ્થ ગેમ્સ માટે બર્મિંગહામ પહોંચેલા ભારતીય ટુકડીના ટીમ ચીફ રાજેશ ભંડારીએ જણાવ્યું કે, ‘હવે અમે એક મીટિંગ કરીશું, જેમાં નવા ધ્વજ ધારકની પસંદગી કરવામાં આવશે.’

ધ્વજ ધારકના દાવામાં ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓનું નામ મોખરે છે. બાકીના કોમનવેલ્થના ડિફેન્ડિંગ ચેમ્પિયનને પણ આ તક મળી શકે છે. જેમાં ઘણા દાવેદારોનો સમાવેશ થાય છે. જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, લવલીના બોર્ગોહેન, બજરંગ પુનિયા અને રવિ કુમાર દહિયાના નામ સામેલ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લી કોમનવેલ્થ ગેમ્સ 2018 ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાની ધ્વજવાહક બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ હતી. આ વખતે પણ તેને તક મળી શકે છે.

નોંધનીય છે કે ધ્વજ ધારકના દાવામાં જે ખેલાડીઓના નામ સામેલ છે. ચાહકોને પણ તેની પાસેથી મેડલની સૌથી વધુ અપેક્ષા છે. તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પછી, નીરજ ચોપરાનું એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાં જંઘામૂળની ઈજાની બાબત શોધી કાઢવામાં આવી હતી. આવી સ્થિતિમાં નીરજ ચોપરાને લગભગ એક મહિના સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે, જેના કારણે તેઓ કોમનવેલ્થ ગેમ્સ 2022માંથી બહાર થઈ ગયા છે.

(10:36 pm IST)