Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

લખનૌમાં ખેડૂતો પરના કાર્ટુનથી ભારે વિવાદ થયો

દિલ્હીની સરહદો પર ૯ માસથી ખેડૂત આંદોલન જારી : ટિકૈતે લખનૌમાં આંદોલનની ધમકી આપતા ઉત્તર પ્રદેશ ભાજપે આકરી પ્રતિક્રિયા આપતા એક કાર્ટૂન શેર કર્યું

 

નવી દિલ્હી, તા.૨૯ : ત્રણ કૃષિ કાયદા અને એમએસપીની ગેરંટીને લઈ છેલ્લા મહિનાથી દિલ્હીની વિવિધ સરહદો પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હવે ખેડૂતોએ લખનૌને ઘેરવાની જાહેરાત કરી છે. થોડા દિવસ પહેલા ભારતીય કિસાન યુનિયન (ભાકિયુ)ના નેતા રાકેશ ટિકૈતે લખનૌમાં આંદોલન કરવાની ધમકી આપી હતી. તેના જવાબમાં ઉત્તર પ્રદેશ ભાજપે આકરી પ્રતિક્રિયા આપતા એક કાર્ટૂન શેર કર્યું છે જેને લઈ વિવાદ થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશ ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ' ભાઈ જરા સંભાળીને જજો લખનૌમાં..' હેડિંગ સાથે શેર કરવામાં આવેલા કાર્ટૂનમાં રાકેશ ટિકૈત જેવી છબિના વ્યક્તિને દેખાડવામાં આવ્યો છે જેના ખભે ખેડૂત આંદોલનનો ભાર છે. 'બાહુબલી' લખેલો વ્યક્તિ તેને કહે છે કે- સાંભળ્યું છે તું લખનૌ જઈ રહ્યો છે.. પંગો લઈશ ભાઈ... યોગી બેઠો છે.. છોતરાં કાઢી નાખશે અને પોસ્ટર પણ લગાવી દેશે.. કાર્ટૂનને લઈ ભારે હોબાળો થઈ રહ્યો છે. એક ટ્વીટર યુઝરે લખ્યું હતું કે- તમારો કહેવાનો અર્થ શું છે. શું એક ખેડૂત લખનૌ અને યુપીમાં વિરોધ કરી શકે. યોગી બેઠો છે કહીને તમે વિરોધ કરવા માટે એક વ્યક્તિનો અધિકાર દર્શાવવા પ્રયત્ન કરી રહ્યા છો. જોકે તમે જાણો છો કે, ખેડૂત બિલ ખેડૂતોના પક્ષમાં નથી, કૃષિ બિલ ફક્ત ખાનગી સંગઠનો માટે નફો કમાવવા છે. યુપી ભાજપની ટ્વીટને લઈ ભારે બબાલ થઈ રહી છે. અનેક લોકો તેને ખેડૂત વિરોધી માનસિકતા ગણાવે છે તો કેટલાક લોકો સરકારની પ્રશંસા પણ કરી રહ્યા છે. પ્રશંસા કરનારા લોકોના કહેવા પ્રમાણે યુપીમાં યોગીરાજ છે, ઉત્તર પ્રદેશમાં અરાજકતા ફેલાવનારા અને લોકોને ભડકાવીને ગુંડાગીરી કરનારા માટે કોઈ જગ્યા નથી. ટ્વીટને લઈ વિવાદ ખૂબ ભડકી રહ્યો છે.

 જોકે ભાજપ મુદ્દે બચાવની મુદ્રામાં આવી ગયું છે. ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં અરાજકતા સહન નહીં કરવામાં આવે. અહીં યોગી સરકાર છે, સીએએ પ્રદર્શનની આડમાં અરાજકતા ફેલાવનારાઓની શું હાલત થઈ તે બધાની સામે છે.

કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે મુદ્દે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ખેડૂતોના મુદ્દે સંપૂર્ણપણે બેશરમી પર ઉતરી આવી છે. જોઈ લો લોકો કઈ રીતે ટ્વીટ કરી રહ્યા છે, કોઈ વખત ખેડૂતોને બબાલ કરનારા કહે છે તો કોઈ વખત પાકિસ્તાની, અફઘાનિસ્તાની કે ખાલીસ્તાની પણ કહે છે. એમ નહીં કે ખેડૂતોના મુદ્દાને ઉકેલવામાં આવે. વખતે ભાજપવાળા ગામમાં જશે તો ખબર પડશે કે કોના છોતરાં ઉતરે છે.

(7:07 pm IST)