Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

પુનિતનગર વૃંદાવનના જયદેવ મૈયેડે કોલેજીયન છાત્રા સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી બળાત્‍કાર ગુજાર્યો

પરણેલો શખ્‍સ કુંવારી યુવતિના પ્રેમમાં પડતાં ગયા મહિને રેસકોર્ષથી અપહરણ કરી માંડા ડુંગર પાસે લઇ જઇ માર મારી અધમૂઓ કરી ફેંકી દેવાયો હતો : યુવતિની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યોઃ યુવતિની સગાઇ થઇ ગઇ પછી પણ ધમકી આપી હતી

રાજકોટ તા. ૧: શહેરના ગોંડલ રોડ પુનિતનગરના ટાંકા પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતાં અને જાહેરાતના બોર્ડનું કામ કરતાં આહિર યુવાન વિરૂધ્‍ધ એક યુવતિએ બળાત્‍કારની ફરિયાદ નોંધાવી છે. યુવતિનો પરિચય આ શખ્‍સ સાથે પોતાની બહેનપણી મારફત થયો હતો. એ પછી આ શખ્‍સે પોતે પત્‍નિને છુટાછેડા આપી તારી સાથે લગ્ન કરી લઇશ તેમ કહી એક દિવસ યુવતિને પોતાની ઘરે બોલાવી બળાત્‍કાર ગુજારી લીધાનો આરોપ મુકાયો છે. નોંધનીય છે કે ગયા મહિને આ આહિર યુવાનનું યુવતિના સગાઓએ રેસકોર્ષ પાસેથી અપહરણ કરી બેફામ માર મારી અધમૂઓ કરી માંડા ડુંગર પાસે ફેંકી દીધો હતો.
દૂષ્‍કર્મના આ બનાવમાં પોલીસે ભોગ બનનાર ૧૯ વર્ષની કોલેજીયન છાત્રાની ફરિયાદ પરથી ગોંડલ રોડ ૧૫૦ રીંગ રોડ પુનિતનગર વૃંદાવન સોસાયટીમાં રહેતાં જયદેવ રાયધનભાઇ મૈયડ (ઉ.વ.૨૩) નામના શખસ વિરૂધ્‍ધ આઇપીસી ૩૭૬ મુજબ ગુનો નોંધ્‍યો છે.
યુવતિએ પોલીસને જણાવ્‍યું હતું કે હું કોલેજમાં અભ્‍યાસ કરુ છું જેનો સમય સવારે આઠથી બારનો છે. અગાઉ હું શહેરમાં એક ફાયનાન્‍સની ઓફિસમાં નોકરી કરતી હતી જે થોડા સમય પછી મુકી દીધી હતી. ત્‍યારે સાથે નોકરી કરતી યુવતિ સાથે ઓળખાણ થઇ હતી અને અમે બહેનપણી બની ગઇ હતી. તે મારા ઘરે પણ આવતી જતી હતી. ત્‍યારબાદ પાંચેક મહિના પહેલા મારી બહેનપણી મારા ઘરે આવેલી ત્‍યારે તેને એક છોકરો મુકવા આવ્‍યો હતો. તેના વિશે પુછતાં તેણીએ કહેલું કે એ મારો ફ્રેન્‍ડ જયદેવ આહિર છે. એ પછી બહેનપણીએ મારા નંબર જયદેવને આપ્‍યા હતાં. એ પછી જયદેવે મને તેના નંબર પરથી વ્‍હોટસએપ મેસેજ કર્યો હતો. એ પછી અમે બંનેએ વાતચીત ચાલુ કરી હતી. વાતચીતના પાંચેક દિવસ પછી જયદેવે મને કહેલું કે-મારા લગ્ન થઇ ગયા છે પણ મારી પત્‍નિ સાથે મારે ભળતું નથી જેથી છુટાછેડા લેવા છે. મારી ઘરવાળી એકાદ વર્ષથી રીસામણે તેના માવતરે છે. આમ કહી જયદેવે કહેલું કે છુટાછેડા થઇ જાય પછી હું તારી સાથે લગ્ન કરી લઇશ.
જયદેવ મૈયડ જાહેરાતના બોર્ડ બનાવવાનું કોન્‍ટ્રાક્‍ટમાં કામ કરતો હોઇ અને સારુ કમાતો હોઇ જેથી મારે પણ તેની સાથે લગ્ન કરવા હોવાથી ૧૧/૮/૨૨ના રોજ સાંજે પાંચેક વાગ્‍યે જયદેવે મને ફોન કરી પોતાની ઘરે આવવાનું કહેતાં મારા ઘરે મહેમાન હોઇ મેં તેને હું નહિ આવી શકુ તેમ કહ્યું હતું. પછી મને એમ થયેલું કે જો હું જયદેવના ઘરે નહિ જાઉ તો તે મારી ઘરે આવી જશે, જેથી હું રિક્ષા કરી મવડી ચોકડીએ પહોંચી હતી. જ્‍યાંથી જયદેવને ફોન કરતાં તે ટુવ્‍હીલર લઇને આવ્‍યો હતો અને પુનિતના ટાંકા પાસે વૃંદાવન-૨માં તેના ઘરે લઇ ગયો હતો.
ભોગ બનેલી યુવતિએ પોલીસને આગળ જણાવ્‍યું હતું કે જયદેવ મને તેના ઘરે લઇ ગયો ત્‍યારે સાંજના આશરે સાતેક વાગ્‍યા હતાં. તેના બે માળના મકાનમાં હું પહોંચી ત્‍યારે નીચેના માળે બે મકાન હોઇ તેમાં કોઇ નહોતું. તેના દાદી ઉમરલાયક હોય તે ઉપરના માળે હતાં. જયદેવે કહેલું કે હું તારી સાથે લગ્ન કરી લઇશ. એ પછી તેણે  શરીર સંબંધ બાંધવાની વાત કરતાં મેં તેને લગ્ન પછી આ બધુ થાય તેમ કહેતાં તે માન્‍યો નહોતો અને પરાણે શરીર સંબંધ બાંધી લીધો હતો. તેના ઘરે અડધો કલાક સુધી હું રોકાઇ હતી. મારી મરજી વિરૂધ્‍ધ શરીર સંબંધ બંધાયો હોઇ હું ગભરાઇ ગઇ હતી. એ પછી જયદેવ રિક્ષામાં મને મારા ઘર નજીક મુકી ગયો હતો.
જયદેવે છુટાછેડા થઇ જાય પછી પોતે  મારી સાથે લગ્ન કરશે તેમ કહ્યું હોઇ મેં આ વાત મારા પરિવારને કરતાં મારા પરિવારજનોએ તેની સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી અને મારી સગાઇ કરી નાખી હતી. તેની જાણ જયદેવને થતાં તેણે ૭/૧૦ના રોજ મારા ઘરના સભ્‍યોને બોલાવી  આ મારી સાથે જ લગ્ન કરશે નહિ તો મરી જશે તેવી ધમકી આપી હતી. એ પછી મારા ઘરના સભ્‍યોને રેસકોર્ષ પાસે બોલાવી માથાકુટ કરી હતી. જેમાં પોલીસ ફરિયાદ થઇ હતી. એ પછી જયદેવે પોતાની પત્‍નિને પણ પાછી બોલાવી લીધી હતી. જયદેવે મારી સાથે મિત્રતા કેળવી લગ્ન કરશે તેવી લાલચ આપી મરજી વિરૂધ્‍ધ શરીર સંબંધ બાંધી લીધો હોઇ ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં તેણીએ કહેતાં પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ આર. જે. ચારણે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે અગાઉ જયદેવનું ગયા મહિને રેસકોર્ષ પાસેથી અપહરણ કરી માંડાડુંગર પાસે લઇ જઇ બેફામ માર મારી અધમુઓ કરી ફેંકી દેવાયો હતો. એ પછી તેને સારવાર માટે દાખલ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસે તેની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધ્‍યો હતો. ત્‍યાં હવે તેના વિરૂધ્‍ધ બળાત્‍કારનો ગુનો દાખલ થયો છે.

 

(11:56 am IST)