Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

નવયુગપરાની હેતલે પોતાને સતત હેરાન કરતાં રવિ રિક્ષાવાળાના રણુજાનગરના ઘર પાસે ફિનાઇલ પીધું

રવિના પરિવારજનોએ મારકુટ પણ કરી લીધાનો પિતા દિનેશભાઇ સાગઠીયાનો આક્ષેપ

રાજકોટ તા. ૩: રામનાથપરા પાસે નવયુગપરા-૭માં રહેતી હેતલ દિનેશભાઇ સાગઠીયા (ઉ.વ.૨૦) નામની યુવતિએ રણુજા મંદિર પાસે આવેલા ગોકુલપાર્ક-૫માં રહેતાં રિક્ષાચાલક રવિ કોળીના ઘર પાસે ફિનાઇલ પી લેતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હેતલના પિતા દિનેશભાઇ સાગઠીયાએ આક્ષેપ કર્યો હતો કે રવિ સતત બે મહિનાથી મારી દિકરીને હેરાન કરતો હોવાથી તેણીએ કંટાળી જઇ તેના ઘર પાસે જઇ આ પગલુ ભર્યુ હતું.

જાણવા મળ્યા મુજબ નવયુગપરાની હેતલે સાંજે ઘરેથી નીકળી ગોકુલ પાર્કમાં પહોંચી પિતાને ફોન કરી પોતે રવિના ઘર પાસે આપઘાત કરી રહી છે તેવી વાત કરતાં પિતા સહિતના પરિવારજનો રિક્ષા મારફત તાત્કાલીક ત્યાં પહોંચ્યા હતાં. ત્યારે તેણીએ ફિનાઇલ પી લીધી હતી. તેને સારવાર માટે સિવિલે ખસેડી હતી. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

હેતલ ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી છે અને ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે. તેના પિતા દિનેશભાઇ ડ્રાઇવીંગ કરે છે. તેણે કહ્યું હતું કે દિકરી હેતલ પટેલનગરમાં ઘડીયાળના કારખાને કામે જતી હોઇ રવિ ત્યાં રિક્ષા લઇને ઉભો રહેતો હોઇ તે છેલ્લા બે માસથી મારી દિકરીની પાછળ પડી ગયો હતો અને પોતાની સાથે લગ્ન કરી લેવાનું કહી દબાણ કરતો હતો. તે છુટીને ઘરે આવે તો પણ પાછળ પાછળ આવી હેરાન કરતો હતો. આ કારણે કંટાળીને મારી દિકરીએ સાંજે અમારી ઘરેથી બહેનપણીને ત્યાં જાય છે તેમ કહી નીકળી જઇ રવિના ઘર પાસે જઇ આ પગલુ ભર્યુ હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે. હેતલને રાતે જ સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.

આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. મનહરસિંહ જાડેજાએ નિવેદન નોંધવા તજવીજ કરતાં એવી વિગતો ખુલી હતી કે યુવતિ અને રવિ અગાઉ તાવાના જમણમાં ભેગા થયા બાદ ઓળખ થઇ હતી. પણ હવે યુવતિને રવિ સાથે વાતચીત કરવી ન હોઇ રવિ પરાણે પોતાની સાથે વાત કરવા, લગ્ન કરવા કહી હેરાન કરતો હોવાથી યુવતિએ તેના ઘર પાસે જઇ આ પગલુ ભર્યુ હતું.

(1:01 pm IST)