Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજસ્થાન ફરવા માટે ગયેલા રાજકોટના યુવાનોને અકસ્માતઃ રામનાથપરાના સાહિલનું મોતઃ ૭ને ઇજા

અજમેર શરીફ દર્શન કરી ત્યાંની કાર ભાડે બાંધી ફરવા નીકળ્યા ત્યારે ટ્રકે કારને ઉલાળીઃ મૃત્યુ પામનાર કોલેજમાં ભણતો હતો

રાજકોટ તા. ૬ : શહેરના રામનાથપરામાં રહેતાં આઠ યુવાનો રાજસ્થાન ફરવા ગયા બાદ અજમેર શરીફ દર્શન કરવા ગયા હોઇ ત્યાંની સ્થાનિક ટેકસી ભાડે કરી આજુબાજુના સ્થળોએ ફરવા નીકળ્યા તે વખતે કિશનગઢના નસીરાબાદ પાસે ટ્રકે કારને ઉલાળતાં કાર ઉંધી વળી જતાં આશાસ્પદ ૧૮ વર્ષના યુવાન રામનાથપરા-૧૮માં રહેતાં સાહિલ સિદ્દીકભાઇ મતવાનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય સાતને નાની મોટી ઇજાઓ થઇ હતી.

અકસ્માતમાં સાહિલનું મોત થયું હતું અને તેના મોટા ભાઇ નઝીર તથા સાથેના તોૈફિક મનસુરભાઇ, લતીફ હનીફભાઇ, કિશન લાલાભાઇ, હસનેન આસીફભાઇ સહિતને ઇજા થઇ હતી. ગયા ગુરૃવારે આ બધા રાજકોટથી રાજસ્થાન ટ્રેન મારફત ફરવા ગયા હતાં. જ્યાં અજમેર શરીફ દર્શન કર્યા બાદ સ્થાનીક ટે્કસી ઓમની વાન આરજે૦૧યુએ-૮૧૭૭ ભાડે બાંધી ફરવા નીકળ્યા ત્યારે કિશનગઢ પાસે ટ્રકે કારને ટક્કર મારતાં કાર ઉંધી વળી જતાં સાહિલના માથા મોઢાનો ભાગ છુંદાઇ જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે અન્યોને ઇજા થઇ હતી.

મૃત્યુ પામનાર સાહિલ કોલેજમાં ભણતો હતો. તે ત્રણ ભાઇમાં નાનો હતો. તેના પિતા કબાટ બનાવવાનું કારખાનુ ધરાવે છે. યુવાન અને આશાસ્પદ પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(3:57 pm IST)