Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

૪ વર્ષનો પુત્ર રૂમમાં આવ્યો ત્યાં માતા લટકતી જોવા મળીઃ પોપટપરામાં રેખાબેનનો આપઘાત

કોળી પરિણીતાએ અકળ કારણે પગલુ ભર્યુઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૨: પોપટપરામાં રહેતી કોળી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પોપટપરા શેરી નં. ૪માં રહેતી રેખાબેન સુનિલ મકવાણા (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ બી. વી. બોરીસાગર તથા કલ્પેશસિંહે બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

આપઘાત કરનાર રેખાબેનના માવતર પોરબંદરના બિલેશ્વરમાં રહે છે. તેણીના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં ચાર વર્ષનો એક પુત્ર છે. પતિ સુનિલભાઇ મકવાણા પ્લમ્બીંગ કામ કરે છે. સાંજે પતિ કામે ગયા હતાં અને બીજા પરિવારજનો બહાર હતાં. એ વખતે ચાર વર્ષનો દિકરો રૂમમાં આવતાં તેણે માતાને લટકતી જોતાં ચીસાચીસ કરી મુકતાં બહાર બેઠેલા પરિવારજનો દોડી આવ્યા હતાં અને ૧૦૮ને જાણ કરી હતી. પરંતુ રેખાબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયાનું જણાવાયું હતું.

રેખાબેનને કોઇ દુઃખ-ત્રાસ કે ઘરમાં કલેશ હોવાની હાલ સાસરિયા પક્ષની પુછતાછમાં કોઇ વિગતો સામે આવી નથી. આજે પોરબંદરથી તેણીના માવતર પક્ષ આવે એ પછી પોલીસ વિશેષ નિવેદન નોંધશે. મૃતદેહનું આજે સવારે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

(11:44 am IST)