Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ભાવનગર જીલ્લાનો અલંગ ઉદ્યોગ હાલ કપરી પરિસ્‍થિતિમાં: જહાજોમાંથી નીકળતા લોખંડના ભાવ સતત ગગડતા શીપબ્રેકરો ચિંતામાં ગરકાવ

2008માં પણ લોખંડના ભાવ 50 ટકા સુધી ઘટી ગયા હતા

ભાવનગર: ભાવનગર જિલ્લાનો અલંગ ઉદ્યોગ હાલ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. જહાજોમાંથી નીકળતાં લોખંડના ભાવ સતત ગગડી રહ્યાં છે, જેના કારણે શિપ બ્રેકરો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. દિવાળી બાદ લોખંડના ભાવ સતત નીચે જઈ રહ્યા છે. હાલ લોખંડના ભાવમાં એક ટને 4 થી 5 હજાર રૂપિયા સુધી ઘટાડો નોંધાયો છે. અગાઉ 2008 માં લોખંડના ભાવ 50 ટકા સુધી ઘટી ગયા હતા અને અલંગ મંદીના માહોલમાં સપડાઈ ગયું હતું. ત્યારે ફરી નીચા જઈ રહેલા લોખંડના ભાવોએ શિપ બ્રેકિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે.

2008 જેવી મંદી ફરી આવી

એશિયાના સૌથી મોટા અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડને હાલ મંદીનું ગ્રહણ લાગી ગયું છે. 1983 માં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે 38 વર્ષ દરમ્યાન અલંગ ઉદ્યોગે અનેક પ્રકારના ઉતાર ચડાવ જોયા છે. ક્યારેક મંદી, તો ક્યારેક તેજીનો માહોલ જોવા મળતો રહ્યો છે. છેલ્લે 2008 માં અલંગ ઉદ્યોગ ભયાનક મંદીના માહોલમાં ફસાઈ ગયું હતું. તે સમયે લોખંડના ભાવ 34 હજાર રૂપિયા પ્રતિ ટન હતો, જે ઘટીને 17 હજાર રૂપિયા પ્રતિ ટન થઈ ગયો હતો. લોખંડના ભાવ 50 ટકા જેટલા ઘટી જતા વેપારીઓએ ખૂબ મોટી આર્થિક મંદીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જ્યારે 2021 માં દિવાળી બાદ ફરી અલંગ ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા છે. દિવાળી પૂર્વે લોખંડનો ભાવ 44 હજાર રૂપિયા પ્રતિ ટન હતો. જે દિવાળી બાદ ઘટીને 39 હજાર રૂપિયા પ્રતિ ટન થઈ ગયો છે. એટલે કે લોખંડના ભાવમાં 5000 હજાર રૂપિયા જેટલો ઘટાડો થયો છે. તેમજ હજુ પણ સતત ભાવ ગગડી રહ્યા છે. જેના કારણે અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે.

મંદી નહિ હટે તો પરિસ્થિતિ બગડશે

કોરોનાકાળની બીજી લહેર પૂરી થતાં અલંગ ઉદ્યોગ ફરી ધમધમી ઉઠ્યો હતો. 2021 ના વર્ષમાં અલંગમાં આવતા જહાજોની સંખ્યા ધીમે ધીમે વધી રહી હતી. 2021 ના જાન્યુઆરી માં 28, ફેબ્રુઆરીમાં 12, માર્ચમાં 10, એપ્રિલમાં 16, મે મહિનામાં 19, જૂન માસમાં 25, જુલાઈમાં 15, ઓગસ્ટમાં 16, સપ્ટેમ્બરમાં 13, ઓકટોબરમાં 21, નવેમ્બર અને ડિસેમ્બરમાં અંદાજિત 22 જેટલા જહાજો અલંગ ખાતે પહોંચ્યા હતા. ધીમે ધીમે ગતિ પકડી રહેલો અલંગ રિસાયક્લિંગ ઉદ્યોગ લોખંડના ભાવ ઘટતાં ફરી મંદી તરફ ધકેલાઈ રહ્યો છે. જો આમ ને આમ લોખંડના ભાવ ઘટતાં રહ્યા તો અલંગમાં આવતા જહાજોની આવક ફરી ઘટી જશે. જેની સીધી અસર પરપ્રાંતિય મજૂરો પર થશે. મંદીના કારણે પરપ્રાંતીય મજૂરોને ફરી બેરોજગારીનો સામનો કરવાનો વારો આવે તેવી સ્થિતિનું નિર્માણ થશે.

અલંગ શિપ એસોસિયેશના પ્રમુખ વિષ્ણુકુમાર ગુપ્તા જણાવે છે કે, અલંગ શિપ યાર્ડમાં ભાંગવામાં આવતા જહાજોમાંથી નીકળતી લોખંડની પ્લેટોમાંથી રોલિંગ મિલ દ્વારા સળિયા બનાવવામાં આવે છે. અગાઉના વર્ષોની સરખામણીએ અનેક રોલીંગ મિલો બંધ થઈ ગઈ છે. પહેલા આશરે 400 થી વધુ રોલીંગ મિલો ધમધમતી હતી. પરંતુ ધીમે ધીમે રોલીંગ મિલો બંધ થતી ગઈ અને હાલ માત્ર 60 થી 70 રોલીંગ મિલો જ કાર્યરત છે. બીજી બાજુ અલંગ આવતા જહાજોમાંથી નીકળતી પ્લેટોને બીઆઇએસ (BIS) સર્ટિફિકેટ આપવા અલંગ ઉદ્યોગ દ્વારા માંગ કરવામાં આવી છે. જે મેટર આશરે 5 વર્ષથી કેન્દ્ર સરકાર પાસે પેન્ડિંગ પડી છે. જહાજોમાંથી જે પ્લેટ નીકળે છે એ પ્લેટમાંથી બનતા ટીએમટી સળિયા સર્ટિફિકેટ ના મળવાના કારણે ખપત ઘટી જવા પામી છે અને જેના કારણે અનેક રોલીગ મિલો બંધ થવાની તૈયારીમાં છે.

(4:39 pm IST)