Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાહુલ ગાંધીનો કોલર પકડયો, ધક્કો માર્યો...આ દેશના લોકતંત્રનો ગેંગરેપઃ સંજય રાઉત

'રાહુલ ગાંધી એક રાષ્ટ્રીય નેતા છેઃ કોંગ્રેસ સાથે શિવસેનાના પણ અનેક મુદ્દાઓ પર મતભેદ છે પરંતુ તેમના નેતા સાથે આ પ્રકારનો વ્યવહાર તો સહન ન કરી શકાય

નવી દિલ્હી, તા.૨: ઉત્તર પ્રદેશના હાથરસ માં અનુસૂચિત જાતિની યુવતી સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ  અને હત્યા બાદ રમાઈ રહેલા રાજકારણમાં હવે શિવસેનાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કથિત રીતે રાહુલ ગાંધીનો કોલર પકડવાના મામલે નિવેદન આપતા તેને લોકતંત્રનું અપમાન ગણાવ્યું અને તેની તપાસની માગણી કરી છે.

સંજય રાઉતે કહ્યું કે ' જે પ્રકારે રાહુલ ગાંધીનો કોલર પકડ્યો, ધક્કો માર્યો, પાડ્યા. આ એક પ્રકારે આ દેશના લોકતંત્રનો ગેંગરેપ છે. આ ગેંગરેપની પણ તપાસ થવી જોઈએ. રાઉતે કહ્યું કે 'રાહુલ ગાંધી એક રાષ્ટ્રીય નેતા છે. કોંગ્રેસ સાથે શિવસેનાના પણ અનેક મુદ્દાઓ પર મતભેદ છે પરંતુ તેમના નેતા સાથે આ પ્રકારનો વ્યવહાર તો સહન ન કરી શકાય.

સંજય રાઉતે કહ્યું કે યુપી પોલીસે રાહુલ ગાંધી સાથે જે પ્રકારનું વર્તન કર્યું, તેને દેશમાં કોઈ સમર્થન આપી શકે નહીં. રાહુલ ગાંધી ઈન્દિરા ગાંધીના પૌત્ર છે અને રાજીવ ગાંધીના પુત્ર છે તે ભૂલવું જોઈએ નહીં. આ લોકોએ દેશ માટે બલિદાન આપ્યા છે. રાહુલ ગાંધીને હાથરસમાં પીડિત પરિવારને મળવાની મંજૂરી મળવી જોઈતી હતી.

અત્રે જણાવવાનું કે હાથરસ જિલ્લામાં એક ગામમાં રહેતી ૧૯ વર્ષની અનુસૂચિત જાતિની યુવતી સાથે ગેંગરેપ બાદ કમર અને ગળાના ભાગમાં ઈજા કરવામાં આવી. તેની જીભ પણ કાપી લેવાઈ હતી. પરિવારજનોએ તેને પહેલા અલીગઢની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં દાખલ કરી હતી. ત્યારબાદ હાલતમાં કોઈ સુધારો ન થતા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી. જયાં મંગળવારે વહેલી સવારે પીડિત યુવતીનું મૃત્યુ થયું.

આ ઘટના બાદથી સમગ્ર દેશમાં ઠેર ઠેર પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ કેસ ગંભીરતાથી લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફોન કરીને આ અંગે કડક કાર્યવાહી કરવા કહ્યું છે. આ મામલે પીડિતાના પરિજનોને મળવા નીકળેલા રાહુલ ગાધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને ડીએનડી પર યુપી પોલીસે રોકયા હતાં.

આ દરમિયાન ધક્કામુક્કી થઈ અને રાહુલ ગાંધી જમીન પર પડ્યા. ત્યારબાદ પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી હતી તથા ગ્રેટર નોઈડાના બુદ્ઘ ઈન્ટરનેશનલ સર્કિટમાં બંધ કરી દીધા. લગભગ અડધો કલાક ત્યાં રાખ્યા બાદ તેમને છોડી મૂકવામાં આવ્યાં. ત્યારબાદ બંને ભાઈ બહેન દિલ્હી પાછા જતા રહ્યાં.

(4:02 pm IST)