Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

બોલિવૂડ કરણ જોહરના ઈશારે ચાલે છે : સુચિત્રા કૃષ્ણમૂર્તિ

સુચિત્રા કૃષ્ણમૂર્તિએ ચોંકાવનારો ખુલાસો કર્યો : બોલિવૂડમાં કમબેક કરવું હોય તો કરણની પાર્ટીમાં જવાનું શરૂ કરી દેવા અભિનેત્રીને સલાહ આપવામાં આવી હતી

મુંબઈ,તા.૨૫ : બોલિવુડમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા પછી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ પર સવાલો ઉઠ્યા છે. ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની પર પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની નજર છે. ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના કર્મચારીઓ પણ ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા છે. હવે એક્ટ્રેસ સુચિત્રા કૃષ્ણમૂર્તિનું કહેવું છે કે, એજન્સી સાથે જોડાયેલી એક એજન્ટે તેને કહ્યું હતું કે, કમબેક કરવું હોય તો કરણ જોહરની પાર્ટીઓમાં જવું જોઈએ. રિપોર્ટ મુજબ, સુચિત્રા કૃષ્ણમૂર્તિએ કહ્યું, એકવાર એજન્સી સાથે જોડાયેલા એક કર્મચારીએ તેને પૂછ્યું હતું કે તે એક્ટિંગ કેમ નથી કરતી. ત્યારે સુચિત્રાએ બાળકો નાના હોવાનું કહ્યું હતું. ત્યારે બુકિંગ એજન્ટને સુચિત્રાને કહ્યું હતું કે, ફિલ્મોમાં કમબેક કરવું સરળ નથી. કર્મચારીના મતે, જો સુચિત્રાને ફિલ્મોમાં કમબેક કરવું હોય તો તેણે ફિલ્મમેકર કરણ જોહરની પાર્ટીઓમાં જવાનું શરૂ કરવું જોઈએ. બોલિવુડની ડ્રગ્સ જાળ ખુલ્લી પડી જતાં કલાકારો ચૂપ કેમ છે તે વિશે સુચિત્રાએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.

             સુચિત્રાએ કહ્યું, એકબીજાની ચાપલૂસી કરવા સિવાય મોટાભાગની બાબતોએ બોલિવુડ મૌન સાધી લે છે. સુચિત્રાનું એમ પણ કહેવું છે કે, બોલિવુડનો સામાજિક મેળાવડો પણ એજન્ડા આધારિત હોય છે. સુચિત્રા કૃષ્ણમૂર્તિ સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે અને ઘણીવાર તેના નિવેદનો ચર્ચામાં રહે છે. સુચિત્રાએ ફિલ્મમેકર શેખર કપૂર સાથે લગ્ન કર્યા હતા. જો કે, હાલ બંનેના ડિવોર્સ થઈ ગયા છે. સુચિત્રાએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ કભી હા કભી નામાં કામ કર્યું હતું. આ ફિલ્મ હિટ થઈ હતી. સુચિત્રા છેલ્લે જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તપાસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યું હતું. એનસીબીએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સામે ઘણા સેલેબ્સના નામ આવ્યા હતા.

(7:25 pm IST)