Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલ ફુટ ઓવરબ્રિજ તંત્ર દ્વારા લોકાર્પણ ન કરાતા વિપક્ષના નેતા શેહઝાદખાન પઠાણે ઢોલ-નગારાના તાલે ઉદ્‌ઘાટન કર્યુ

ફુટ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયુ તેને ચાર મહિના થયા છતાં કોર્પોરેશન દ્વારા ખુલ્લો મુકાતો નથી તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ

અમદાવાદઃ અમદાવાદની સાબરમતી નદી પર જનતાની અવરજવર માટે બનેલો ફુટ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયુ તેને ચાર મહિના થવા છતાં લોકાર્પણ ન કરાતા વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે ઢોલ-નગારાના તાલે બ્રિજનું ઉદ્‌ઘાટન કરી નાખ્‍યુ અને તંત્ર પર આક્ષેપ કર્યો હતો. આ સાથે અન્‍ય કાર્યકરો અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

અમદાવાદના સાબરમતી નદી પર શાનદાર ફુટઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજ બન્યાને ચાર મહિના થવા છતાં સરકાર આ બ્રિજને ખુલ્લો મૂકવાનુ નામ નથી લેતી. એક તરફ ભાજપ સરકાર અવસરની રાહ જોઈ રહી, અને બીજી તરફ વિરોધ પક્ષના નેતાઓએ બ્રિજને ખુલ્લો મૂકી દીધો. વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે કાર્યકર્તાઓ સાથે મળીને ફુટઓવર બ્રિજનુ ઉદઘાટન કર્યું. ફુગ્ગાઓ લગાવીને રિબન કટ કરવામાં આવી હતી. શાનદાર રીતે બ્રિજની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. આમ, કોંગ્રેસ એએમસીને એક લપડાક મારી છે. 

કોંગ્રેસે લાંબા સમયથી સાબરમતી નદી પર ફૂટઓવર બ્રિજ ખુલ્લો મૂકવાની માંગ કરી હતી. તેમણે એએમસીમાં પણ આ અંગે રજૂઆતો કરી હતી. આખરે તંત્રએ આ વાત ધ્યાને ન લેતા વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે ઢોલ નગારાના તાલે બ્રિજનુ ઉદઘાટન કર્યુ હતું. આ ઉદઘાટન પ્રસંગમાં કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા. કોંગ્રેસે કહ્યુ હતું કે, શાસક પક્ષ બ્રિજ બન્યા છતા તેને ખુલ્લો મૂકતુ નથી. આ રીતે કોંગ્રેસે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.

શેહઝાદ ખાન પઠાણે આ વિશે કહ્યુ કે, અમદાવાદની જનતા માટે 80 કરોડના ખર્ચે બ્રિજ બનાવાયો છે. ચાર મહિનાથી બ્રિજ બનીને તૈયાર છે. કોર્પોરેશનનુ કામ પૂરુ થઈ ગયુ છે. પરંતું ભાજપના વીઆઈપી નેતાઓને ઉદઘાટન કરાવનો સમય નથી મળી રહ્યો. તેઓ પર્સનલ કામમાં જ વ્યસ્ત છે. જનતાના હિત માટે કોંગ્રેસે આગળ આવીને લોકોની લોકલાગણી ગણીને બ્રિજને ખુલ્લો મૂક્યો છે. અમે ચાર મહિનાથી કોંગ્રેસ જનરલ બોર્ડમાં તેને ઓપન કરવાની માંગ કરી હતી. પરંતુ ભાજપ ચૂંટણીને ધ્યાનમાં રાખીને બ્રિજનું લોકાર્પણ કરવામાં ટાળી રહી છે.

પીએમ મોદી લોકાર્પણ કરશે

આ વર્ષે મે મહિનામાં જ બ્રિજ તૈયાર કરી દેવાયો છે. સાબરમતી નદી પર એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂ. 80 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરાયો છે. ત્યારે આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અટલબ્રિજનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. એએમસી દ્વારા વડાપ્રધાન ઓફિસ (PMO)માં જાણ કરી અને સમય માંગવામાં આવ્યો છે. પીએમઓ સમય આપે ત્યારે જ બ્રિજ નાગરિકો માટે ખુલ્લો મૂકી શકાશે. પરંતુ ત્યા સુધી અમદાવાદની જનતાને દૂરથી જ બ્રિજ નિહાળવો પડી રહ્યો છે. હાલ વરસાદની મોસમમાં આ બ્રિજ પરથી સુંદર નજારો જોવા મળી રહ્યો છે.

(5:09 pm IST)