Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અમદાવાદમાં શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાઃ પ્રતિ કિલોના 100થી 160 રૂપિયા

વરસાદ થતા શાકભાજીની આવકમાં 30 ટકાનો ઘટાડો થતા ભાવવધારાથી લોકોમાં કચવાટ

અમદાવાદઃ અમદાવાદ તથા રાજ્‍યમાં અનેક વિસ્‍તારોમાં ભારે વરસાદ થતા શાકભાજીની આવક ઓછી થતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્‍યા છે. હાલ પ્રતિ કિલોના 100થી 160 રૂપિયા ચુકવતી ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.

ચોમાસામાં સામાન્ય રીતે વેલાવાળા શાકભાજીની આવક વધુ થતી હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભારે વરસાદને કારણે શાકભાજીની આવક સામાન્ય કરતા 30 ટકા ઓછી થઇ છે. પરિણામે હાલ બજારમાં શાકભાજીનો ભાવ 15-17 ટકા વધ્યો છે. આ વધારો છેલ્લા 15 દિવસમાં નોંધાયો છે. જો કે આગામી 15-20 દિવસ બાદ જો સામાન્ય વરસાદ રહેશે તો ભાવ ઓછા થાય તેવી શક્યતા APMC ના સેક્રેટરી દિપક પટેલે વ્યક્ત કરી છે.

હાલ મોટાભાગના શાક જેવા કે ગવાર, વાલ, ચોળી, પાપડી, વટાણા, ફણસી જેવા શાક 100 રૂપિયાથી લઇ 160 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે. ગવાર, ચોળી, ભીંડા જે અગાઉ 60-80 રૂપિયા કિલો હતા તે હવે 100-120 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ફણસી અગાઉ 80 રૂપિયા કિલો હતી જે હાલ 120 રૂપિયા કિલો જયારે વટાણા અગાઉ 120 રૂપિયા કિલો હતા જે હાલ 160 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.

સિમલા મરચા અને ટિંડોળા અગાઉ 40-60 રૂપિયા કિલો હતા જે હાલ 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. આદુ, લીલા મરચા અગાઉ 50-60 રૂપિયા કિલો હતા તે હાલ 80 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. જોકે, ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ ટામેટા 60 રૂપિયા કિલો હતા જે હાલ 40 રૂપિયા કિલો મળી રહ્યા છે. વધતા ભાવ સામે ગ્રાહકોના બજેટ ઉપર અસર થઇ રહ્યો છે. શાકભાજી લેવા આવનારા દરેક લોકો વધતા ભાવ સામે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

(5:13 pm IST)