Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

નિવૃત પોલીસ કર્મચારી પર લાગ્યો છેડતીનો આરોપ : પ્રેમીના આપઘાત બાદ તેના પિતાએ યુવતી પર નાખી ખરાબ નજર !

યુવક-યુવતી 8 વર્ષ એક સાથે રહ્યાં પણ યુવકના પરિવારે બન્નેના લગ્ન ન કરાવ્યા અને અંતે પ્રેમિકાને પ્રેમી ગુમાવાનો વારો આવ્યો

અમદાવાદ તા. 19 : અમદાવાદમાં નિવૃત પોલીસ કર્મી પર છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર, 8 વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમી પંખિડાને લગ્ન જીવનમાં બંધાવવાની પ્રેમી યુવકનાં પરિવારજનોએ ના પડતાં યુવકે આપઘાત કરી લીધો હતો, જે બાદ યુવતીની યુવકનાં પિતા અને પિતરાઈ ભાઈ દ્વારા અડપલાં કરી છેડતી કરવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

જ્ઞાતિના ભેદભાવ વચ્ચે પ્રેમને લગ્નના બંધનમાં નહિ જોડતા પ્રેમીએ આપઘાત કર્યો, જ્યારે પ્રેમિકા નિરાધાર થઈ ગઈ છે. વાત કઈક એમ છે કે આજથી 8 વર્ષ પહેલાં એલિસ બ્રિજ પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કર્મીની 17 વર્ષીય પુત્રી અને પોલીસકર્મી દશરથસિંહ પરમારનો પુત્ર જયદીપસિંહ બન્ને વચ્ચે પ્રેમ સંબધ થતાં ઘરે ભાગી ગયાં હતાં. યુવક જયદીપસિંહ કિશોરીને લઈ વડોદરા જતો રહ્યો હતો. જે બાદ યુવક પોતાના ઘરે નાના ચિલોડા યુવતીને લઈ આવ્યો હતો. બાદમાં લગ્ન કર્યા વગર એકબીજા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. આ દરમિયાન યુવતીએ બાળકને જન્મ પણ આપ્યો હતો. જે બાદ બન્ને લગ્ન કરવાનું નક્કી કર્યું પરતું યુવકના પરિવાજનો લગ્ન કરવાની મજૂરી ન આપી અને યુવકના પોલીસ કર્મી પિતા યુવતીને જાતિવિષયક શબ્દો બોલી કહ્યું કે આ જ્ઞાતિ સાથે લગ્ન ના કરાય. જેથી યુવક જયદીપસિંહે કંટાળીને વર્ષ 2021માં આપઘાત કરી લીધો અને બાદમાં યુવકના પરિવારજનો યુવતીને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જે બાદ યુવતી પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી.

ફરિયાદી યુવતીએ મૃતકના પિતા અને પિતરાઈ ભાઈ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે કે મૃતક જયદીપસિંહના પિતા યુવતીને રખેલ બની રહેવાનું કહેતા હતા સાથે જ મૃતક યુવકનો પિતરાઈ ભાઈ પણ યુવતીને અડપલાં કરી છેડતી કરતો હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે લગ્ન કરી લાવ્યા બાદ પણ યુવકની બહેન અને જમાઈ યુવતીને જાતી વિષયક શબ્દો બોલી તેનું અપમાન કરતા હતા. ત્યારે યુવતી યુવકને કહેવા છતાં તે કઈ કહેતો ન હતો. આમ કરી પરિવાજનો શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. હાલ સમગ્ર બાબતને લઈ યુવતીએ એલિજબ્રિજ પોલીસમાં નિવૃત પોલીસ કર્મી, તેમના જમાઈ, દીકરી અને મૃતકના પિતરાઈ ભાઈ સામે ગુનો નોંધાવ્યો છે.

(7:44 pm IST)