Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

દિલ્હીમાં ૧૬૯ દિવસ પછી ફરી દોડતી થઈ મેટ્રો

મુસાફરી માટે કેટલાક કડક નિયમોનું પાલન કરવું પડશે

નવી દિલ્હી, તા.૭: કોરોના વાયરસની મહામારીના કારણે ૫ મહિના કરતા વધારે સમય સુધી બંધ રહેલી મેટ્રો આજે ફરી દોડી રહી છે. જોકે, મેટ્રોના પ્રયોગના નિયમો ઘણાં જ કડક છે અને લોકોને જરુરિયાત પડવા પર જ તેનો ઉપયોગ કરવા માટે જણાવાયું છે. અધિકારીઓએ કહ્યું કે જો મુસાફરી દરમિયાન સામાજિક નિયમોનું પાલન નહીં થાય તો અમુક સ્ટેશનો પર મેટ્રોને રોકવામાં નહીં આવે.

દિલ્હી મેટ્રોની સેવા ૭થી ૧૨ સપ્ટેમ્બર વચ્ચે ત્રણ તબક્કામાં શરુ કરાશે. સમયપુર બાદલીથી હુડા સિટી સેન્ટરને જોડનારી યલો લાઈન અને રેપિડ મેટ્રો આજે શરુ થઈ ગઈ. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, પહેલા તબક્કામાં સવારે ૭ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી અને સાંજે ૪ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધી ટ્રેનો ચાલશે. ૫૭ મેટ્રો દોડશે જે લગભગ ૪૬૨ ફેરા લગાવશે.

મુસાફરોએ મેટ્રોની મુસાફરી માટે વધારાનો સમય લઈને ઘરેથી નીકળવું પડશે. સામાન ઓછો રાખવો પડશે અને ધાતુની વસ્તુઓ ના રાખવા માટે જણાવાયું છે. ૩૦ml કરતા વધુ પ્રમાણમાં મુસાફરો હેન્ડ સેનિટાઈઝર નહીં રાખી શકે. દરેક સ્ટેશન પર એક કે બે ગેટ્સ દ્વારા જ એન્ટ્રી થશે. મુસાફરોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ સિવાય જે મુસાફરોમાં કોરોના વાયરસના લક્ષણો દેખાશે તેમને નજીકના મેડિકલ સેન્ટર મોકલવામાં આવશે. મેટ્રો સુધી પહોંચવાની વિવિધ જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે ખાસ પગલા ભરવામાં આવ્યા છે. સ્ટેશન પર તમારા સામાનને પણ ડિસઈન્ફેકટેડ કરવા માટે સેનિટાઈઝ કરવામાં આવશે. ૪૫ જેટલા સ્ટેશનો પર ઓટો થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઈઝેશન મશીન લગાવવામાં આવી છે.

(10:00 am IST)