Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

તલાટી મંત્રીનો યોજાઈ ગયેલ વિદાય સમારંભ

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની હાજરીમાં

રાજકોટઃ કાલાવડ તાલુકા તલાટી- મંત્રી મંડળ તેમજ તાલુકા પંચાયત દ્વારા નિવૃત કર્મચારીઓનો વિદાય સમારંભ કોરોના ગાઈડ લાઈન મુજબ સુરસાંગણા હનુમાનજી, તુલસી-વન આશ્રમ નવાણીયા- ખાખરીયા ખાતે યોજાઈ ગયો.

રાજય સરકારનાં કેબિનેટ કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પ્રેરક હાજરી આપી હતી. કાલાવડ તાલુકાનાં તલાટીમંત્રીની કામગીરીને બીરદાવી કોરોના મહામારી અનુલક્ષીને માર્ગદર્શન આપેલ હતું. કાર્યક્રમનાં અતિથિ વિશેષ પદે જામનગર જિલ્લા તલાટી મંત્રી સંગઠનનાં સક્રિય પૂર્વ પ્રમુખ શ્રી વનરાજસિંહ જાડેજા, રાજકોટ જીલ્લા તલાટી- મંત્રી મંડળના પૂર્વ પ્રમુખશ્રી હરદાસભાઈ ડાંગર, રાજય પ્રાથમીક શિક્ષક સંઘનાં પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ડાંગરીયા, ઉપપ્રમુખશ્રી જાડેજા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતાં.

નિવૃત થતાં કર્મચારીઓ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા તથા રઘુભા જાડેજાનાં સુખી નિવૃત જીવન માટે શુભકામના પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા તુલશી વન  આશ્રમનાં મહંતશ્રી વાલદાસ બાપુ, તાલુકા તલાટી મંત્રી મંડળનાં પ્રમુખશ્રી વિજયસિંહ ચુડાસમા તથા અગ્રણીશ્રી હરદેવસિંહ વાઘેલા વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

(11:43 am IST)