Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

૧૯ સપ્ટેમ્બરે મુંબઇ-ચેન્નાઇ વચ્ચે પ્રથમ મુકાબલો ?

આઇપીએલની તમામ ટીમો યુએઇ પહોંચી ગઇ હોવા છતાં શેડયુલ જાહેર કરાયો નથી : આ સપ્તાહના અંત સુધીમાં શેડયુલ જાહેર થવાની શકયતા

નવી દિલ્હી,તા.૨૭: આઈપીએલની ૧૩મી સિઝન માટે તમામ ટીમો યૂએઈ પહોંચી ચુકી છે. જોકે હજુ સુધી આઇપીએલ ૨૦૨૦નો કાર્યક્રમ જાહેર થયો નથી. રીપોર્ટ પ્રમાણે કાર્યક્રમમાં મોડું થવાનું કારણ અબુધાબીની ઉપલબ્ધતા કારણભૂત છે.

આઈપીએલના આયોજન સ્થળમાં અબુધાબી એક છે પણ હવે કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે તેની ઉપલબ્ધતાને લઈને ભ્રમની સ્થિતિ ઉભી થઈ છે. આ જ કારણ છે કે બીસીસીઆઈને આઈપીએલનો કાર્યક્રમ જાહેર થવામાં મોડુ થઈ રહ્યું છે. અબુધાબીની ક્ષેત્રીય ઓથોરિટીએ પ્રવેશ પોઇન્ટ પર રેપિડ ટેસ્ટને ફરિજયાત કરી દીધો છે. તેનો મતબલ એ છે કે અબુધાબીથી બહાર વાળી ટીમો, બ્રોડકાસ્ટર દળ અને અન્ય અધિકારીઓનો વધારાનો ખર્ચ વધી જશે અને હવે બીસીસીઆઈ તેનો ઉકેલ કાઢવા પર વિચાર કરી રહી છે.

એવા સમાચાર છે કે બોર્ડ હવે અબુધાબીમાં મેચોની સંખ્યા ઓછી કરી શકે છે. એક સૂત્રના મતે અબુધાબી પહેલા હાફમાં કેટલીક મેચોની યજમાની કરી શકે છે. હાલના સમયે આઠમાંથી છ ટીમો દુબઈમાં છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ અબુધાબીમાં છે. રાજસ્થાન રોયલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ ટીમો શારજાહ અને આઈસીસી એકેડમીમાં ટ્રેનિંગ શરૂ કરી શકે છે.

કેટલાક દિવસો પહેલા આઈપીએલના ચેરમેન બૃજેશ પટેલે ઇનસાઇડ સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે કાર્યક્રમ જાહેર થવામાં મોડું થઈ રહ્યું છે. સપ્તાહ ખતમ થયા પહેલા કાર્યક્રમ જાહેર કરી દેવાશે.

મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આ સિઝનમાં ઓપનિંગ મેચનો સંકેત આપ્યો છે. રોહિતે ધોનીની નિવૃત્તિના સમયે કહ્યું હતું કે ૧૯ના રોજ ટોસ પર મળીશું. એટલે કે ૧૯ સપ્ટેમ્બરે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મેચ રમાશે. જોકે આઈપીએલનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી.

(2:58 pm IST)