Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સરકારને સહકાર આપીએ અને સમાજને સ્વસ્થ બનાવીએઃ સુપ્રસિધ્ધ ગાયિકા નિધીબેન ધોળકીયા

મહામારીના અંધકારના સમયે લોકોને ભયભીત થયા વગર લડવાનો પ્રેરક સંદેશ

રાજકોટ,તા.૨૭: 'વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ, નહિતર અચાનક અંધારા થાશે જી' ગંગાસતી - પાનબાઈના આ ભજનમાં ઘોર અંધકારના સમયમાં માત્ર વીજળીના ચમકારામાં જ મોતીડા પરોવવાની વાત કરવામાં આવી છે. તેમ જણાવતાં રાજકોટના જાણીતા ગાયિકા નિધિબેન ધોળકિયા પ્રવર્તમાન કોરોનાની વૈશ્વિક મહામારીના ઘોર અંધકારના સમયમાં રાજકોટવાસીઓને ભયભીત થયા વગર તેની સામે લડવાનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, જો વિજળીના ચમકારામાં જ મોતીડા પોરવી શકાતા હોય, તો શું કોરોના સામે લડી ન શકાય ? આનો જવાબ આપણા સૌ પાસે છે અને તે છે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ.

કોરોના સંક્રમણથી જો આપણે બચવું હોય તો, આપણી આસપાસ રહેતા લોકોને કોરોનાગ્રસ્ત થતાં રોકવા હોય તો એક માત્ર ઈલાજ છે કે, આપણે માસ્ક પહેરીએ, સામાજીક અંતર જાળવીએ. આ ઉપરાંત જો કોરોનાના કોઈ પણ લક્ષણ જોવા મળે તો આપણે નિર્ભય થઈને કોરોનાના ટેસ્ટ કરાવવો જોઈએ, ઘણા લોકો એવું માનતા હોય છે કે, આપણે ટેસ્ટ ન કરાવીએ તો શું ! આવા લોકોને મારે કહેવું છે કે, કદાચ તમારી રોગપ્રતિકારક શકિત વધારે હોય તો આપ કોરોનાથી બચી શકશો પણ આપના પરિવારજનો કદાચ એનાથી બચી નહી શકે. અને જો તમે સમયસર ટેસ્ટ કરાવીને સારવાર લેશો તો સંપૂર્ણપણે બચી જશો. ટેસ્ટ કરાવવામાં આપણો ફાયદો જ છે. આપણી આસપાસના લોકો સંક્રમિત થતાં નથી અને સ્વંય આપણે પણ સમયસર નિદાન મેળવી કોરોનામુકત થઇ શકીએ છીએ. રોગ અંગેની આ જાગૃતતા જ આપણને અને આપણી આસપાસના લોકોને કોરોનાના સંક્રમણથી બચાવશે. આપણા સ્વાસ્થ્ય માટે રાત-દિવસ કાર્યરત એવા તબીબો, આરોગ્યકર્મીઓ અને સરકારને સહકાર આપીએ, અને કોરોના અંગેની જાગૃતતા કેળવીને સમાજને સ્વથ્ય બનવીએ. આપણે જો આટલું કરશું તો અવશ્ય 'હારશે કોરોના, જીતશે રાજકોટ'.

(1:02 pm IST)