Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

કોરોના મહામારી ના કારણે તીર્થ પર્યટન મથકનું અર્થતંત્ર સંકટમાં

કોરોનાથી સોમનાથ તીર્થ-પર્યટન સ્થળમાં મંદી : મંદિરની આસપાસના ગામોમાં યાત્રીકો પ્રવાસીઓથી ધમધમતા ગેસ્ટહાઉસમાં સુનકાર જોવા મળી રહ્યો છે

પ્રભાસ પાટણ,તા.૦૩  :ભારતના બાર જ્યોર્તિલિંગ  પ્રથમ અને વિશ્વ પ્રવાસીઓના માનીતા પર્યટન મથક તીર્થ ભૂમી સોમનાથ અને તેની આસપાસના ધંધા રોજગારોને વૈશ્વીક મહામારી કોરોનાનું ગ્રહણ ગ્રસી ગયું છે. માર્ચ મહિનાથી જ સોમનાથ મંદિરની આસપાસ-બાયપાસ અને ગામોમાં યાત્રીકો પ્રવાસીઓથી ધમધમતા ગેસ્ટહાઉસમાં સુનકાર ભાસે છે. સોમનાથ શોપીંગ કોમ્પ્લેક્ષના લક્ષ્મણ જેઠવા કહે છેકે દર વર્ષે અમારે શ્રાવણ મહિનો વેકેશન વર્ષભરની કમાણી સિઝન હોય છે. જે સાવ ઠપ છે.ભાગ્યે જ કોઇ રળ્યો ખળ્યો ગ્રાહક દુકાને આવે છે. નવરાશ એટલી બધી છે કે હું રામાયણ અને મહાભારત વાંચી પસાર કરું છું.

               રામેશ્વર, કલક્તા, મુંબઇ, આગ્રા, હરદ્વાર, જયપુર જઇ શંખ અને તેની બનાવટોના તોરણો, પંચધાતુની મુર્તીઓ, પીત્તળનો પૂજા સામાન, આભલા વાળાં પર્સ ત્યાં જઇ જથ્થાબંધ ખરીદી કરવા જતાં વેપારીઓ પણ મુશ્કેલીમાં છે અને કહે છે કે ગ્રાહક નથી તો માલ શું લાવવો. સોમનાથનાં દરિયાકાંઠે પ્રવાસીઓને કેમલ અને ઘોડે સવારી મુસાફરી કરાવતા ચાલકો સાવ નવરા ધૂપ છે. તો સોમનાથ મંદિર પાસે અને દરિયા કાંઠે નાળીયેર, બાળકોનાં ચશ્માંવાળા બધાં મુંઝાયા છે. આમાં કરવું શું અને હવે તો લાગવા જ મંડ્યું છે કે કાહે મનવા દુઃખ કી ચિંતા હૈ, દુઃખ તો અપના સાથી હૈ. કેટલાક લોકો તો હવે મકાનના પ્લાસ્ટરનો ધંધો શરુ કર્યો છે તો અન્ય પર્યટન સ્થળનો ધંધો ત્યજી મજુરીકામે વળગી ગયાં છે. દરેક ધંધાદારીઓએ આવા સંજોગોમાં લાઇટબીલ, નોકર પગાર મેનટેન્સ ખર્ચ તો ના છુટકે જ કરવો પડે છે.

(9:53 pm IST)